ભરૂચના કોંગ્રેસી નેતાનું સ્વાઇન ફ્લુથી મોત
ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહાસચિવ ગંભીરસિંહ પરમારને શરદી અને ફેફસામાં તકલીફ થઇ હોવાથી સારવાર માટે ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સ્વાસ્થ્ય વધારે કથળતા થોડા દિવસ પહેલા ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તેમનામાં સ્વાઇન ફ્લુના લક્ષણો જોવા મળતા તેમના લોહીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટિંગમાં સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે તેમને સરકાર સંચાલિત એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
ગંભીરસિંહ પરમાર ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણી નેતા હતા. તેઓ વિવિધ જિલ્લા કૉઑપરેટિવ બેંકમાં, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સ્થાનિક પંચાયતમાં વિવિદ હોદ્દાઓ પર હતા.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે પરમારના મોત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે.