નાણામંત્રીએ 2.43 લાખ કરોડનુ બજેટ કર્યુ રજૂ, સ્કૂલોને મૉડર્ન બનાવવા 10 હજાર કરોડની ફાળવણી
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાકીય વર્ષ 2022-23નુ બજેટ રજૂ કર્યુ હતુ.
ગાંધીનગરઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાકીય વર્ષ 2022-23નુ બજેટ રજૂ કર્યુ હતુ. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડનુ બજેટ રજૂ કર્યુ છે. અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યુ હતુ કે માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમોતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
સ્કૂલોને મૉડર્ન બનાવવા માટે 10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકો માટે મુખ્યમંત્રી પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકો અને માછીમારોને ટૂંકી મુદતનુ ધિરાણ રાહત આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 8થી 10 હજાર કરોડનુ ધિરાણ રાહત આપવામાં આવશે.
બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. સ્કૂલ્સ ઑફ એક્સીલન્સ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડલ સ્કૂલો પણ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી. મત્સ્તયોદ્યોગ પ્રભાગ માટે 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સહકાર વિભાગમાં ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જળ સંપત્તિ પ્રભાગ માટે 5339 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.શિક્ષણ વિભાગ માટે 34, 884 કરોડની જોગવાઈ કરાઈ છે. મિશન સ્ફુલ્સ ઓફ ઍક્સેલેન્સ યોજના હેઠળ 1188 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટે 350 કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઈ કરાઈ છે.
પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણાં પ્રધાને કહ્યુ હતું. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12, 240 કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નર્મદા યોજના માટે 6090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા નદી ઉપર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભુજ બેરેજ યોજનાનું કામ ચાલુ છે, જેને માટે 1240 કરોડની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.