Gujarat Budget 2024: વાંચો નાણામંત્રી કનુભાઈ દેસાઈનું સંપૂર્ણ બજેટ ભાષણ
Gujarat Budget 2024: ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જીએસડીપીમાં 14.89નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જીડીપીમાં રાજયનો ફાળો 5.1 હતો, જે આજે વધીને 8.2 થયો છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે.
રાજ્યની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@2047નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.
એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-20 સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્દ્ર બિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે.
જી-20ના વિવિધ કક્ષાના 17 જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે.
નાનકડી શરૂઆતથી પોતાની સફરના 20 વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્ર મોદીની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી 10મી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 40 દેશોના મંત્રીઓ, 140થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણા મૃદુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજ્ય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.
ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રહભાઇ મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.
રાજ્યની મોટાભાગની વસતિ હાલમાં 18 થી 60 વર્ષના વયજૂથમાં આવે છે, અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવીડડ્નુંનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા, રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલા છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.
ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે " यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः। " આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે. મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમનો આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે.
આમ, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમોમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
વિકસિત ભારત @2047 માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત @2047નો વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.
વિકસિત ગુજરાત @2047ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન (Living Well) આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક (Earning Well) સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો (Sustainable & livable habitation) પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.
સ્વસ્થ અને સશકત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રામાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરૂષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષની અંદાજે 3200 કરોડની જોગવાઇ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષ માટે 5500 કરોડની માતબર જોગવાઇ સૂચવું છું.
બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષણક્ષમ આહાર મળે તે દરેક વ્યકિત, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્ર સ્થાને હોઇ તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું તે અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદ્રઢ કરવામાં આવશે.
વિકસિત ગુજરાત @2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું.
સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.
નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12મા કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે, અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં 1250 કરોડની જોગવાઇ સૂચવું છું.
રાજ્યમાં દર વર્ષે અંદાજે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ 2022-23ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક 300 કરોડના ખર્ચે 5 લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલ છે.
સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું 750 કરોડની જોગવાઇ સૂચવું છું.
હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5 ટકા થી વધારી 4.5 ટકા કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ 60 ટકા જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું.
પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રસલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્ર લાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ) નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.
ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની 1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 2.0 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20 હજાર આંગણવાડીઓને આઇટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્ટ્રરલ રિસોર્સ સેન્ટનર ઉભું કરી પ્રિ-પ્રાઇમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્યમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે 3100 કરોડની જોગવાઇ સૂચવું છું.
કેન્સંર જેવી ગંભીર બિમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે 600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટીટ્યુટ ખાતે સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લીયર મેડિસીન અને પ્રોટોન બીમ થેરાપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું.
એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇટી અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું.
આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર અને ધોરણ 12 માં 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડનો ખર્ચ થશે.
રાજ્યની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સા હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા 2000 કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સથ 2.0 અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રો ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રરની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે 2500 કરોડની જોગવાઇ હું સૂચવું છું.
રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્ફ્રા સ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજયના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.
પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
રાજ્યમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે.
રાજ્યમાં એમએસએમઇ એકમોની સંખ્યા 16 લાખ કરતા વધારે છે. રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30 છે, અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે 12.80 ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં 55 બિલિયન યુએસ ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.
ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે.












Click it and Unblock the Notifications
