અમદાવાદઃ હોન્ડાના પ્લાન્ટનું ભૂમિપૂજન, કરશે 1100 કરોડનું રોકાણ
અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટૂ વ્હીલર નિર્માતા કંપની હોન્ડાના સૌથી મોટા સ્કૂટર પ્લાન્ટનું ભૂમિપૂજન અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું હતું. આ પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મારુતી સુઝુકી કંપની આ વિસ્તારમાં આવવાની સાથોસાથ હોન્ડા કંપનીનો પ્લાન્ટ વિઠ્ઠલાપુર ખાતે સ્થપાવા જઇ રહ્યો છે, તેથી આ વિસ્તારની આર્થિક અને સામાજિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.
અગાઉ પણ રાજ્ય સરકાર આ વિસ્તારમાં સ્પેશિયલ રિજિયન(એસઆઇઆરએફ) સ્થાપવાની હતી, પરંતુ સંજોગોવસાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સ્થપાઇ શક્યો નહોતો, પરંતુ આજે વિઠ્ઠલાપુરના યુવાનો અને વડીલોએ સમજદારી દાખવી પ્લાન્ટ સ્થાપવા જે તત્પરતા દર્શાવી તેના લીધે હોન્ડાનો આ પ્લાન્ટ આ વિસ્તારમાં સાકાર થવા જઇ રહ્યો છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, હોન્ડાનો પ્લાન્ટ સ્થપાવાના કારણે હોન્ડા કંપની પણ સ્થાનિક યુવાનોને પોતાના પ્લાન્ટ માટે જરૂરી કુશળથા માટે તાલીમ આપશે.
હોન્ડા કંપનીનો પ્લાન્ટ સ્થપાવાથી તેને પૂરક સ્પેરપાર્ટ્સનાં ઉદ્યોગ પણ સ્થપાશે અને તેથી આ વિસ્તારમાં વધુ રોજગારીની અવસરો ઉપલબ્ધ થશે. માંડલ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂંક્યા હોવાની સ્મૃતિને વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોતે આ વિસ્તારની સમસ્યાથી સુપેરે પરિચિત છે અને આ સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાની વિગતો આપી હતી.
સરકારના સહકારથી પ્રભાવિત
હોન્ડા ઇન્ડિયાના પ્રમુખ અને સીઇઓ કિત્તા મુરામાત્સુએ જણાવ્યું હતું કે હોન્ડાના પ્લાન્ટ માટે હું મુખ્યમંત્રી આનંદીબેનને પ્રથમવાર જ મળ્યો ત્યારે તેમણે અને સરકારે જે સહકાર અને ઉત્સાહ દર્શાવ્યો તેનાતી હું ઘણો જ પ્રભાવિત થયો હતો અને વિઠ્ઠલાપુર ખાતે પ્લાન્ટ નંખાવવા માટેના બીજ ત્યારે નિમાયા હતા.
1100 કરોડનું રોકાણ
પ્લાન્ટ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે આ પ્લાન્ટમાં 1100 કરોડ રૂપિયાનું રોકાણ કરીશુ. આ પ્લાન્ટ દ્વાર વાર્ષિક 1.2 મિલિયન ઓટમોટેક સ્કૂટરનું ઉત્પાદન કરવામાં આવશે.
કંપનીના વાર્ષિક ઉત્પાદનમાં થશે વધારો
હોન્ડાના ભારતમાં કાર્યરત ત્રણ પ્લાન્ટ દ્વારા વાર્ષિક 4.6 મિલિયન યુનીટનું વાર્ષિક ઉત્પાદન થાય છે, જે વિઠ્ઠલાપુર ખાતેનો પ્લાન્ટ સ્થપાતા વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 5.8 મિલિયન યુનીટની થશે.
10 લાખ આપ્યા સ્વચ્છતા નિધીમાં
હોન્ડા કંપનીના સીઇઓ મુરામાત્સુએ મુખ્યમંત્રી સ્વચ્છતા નિધી માટે 10 લાખ રૂપિયાનો ચેક અપર્ણ કર્યો હતો.
સ્વચ્છ ગામનું સર્જન કરવા અનુરોધ
બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાન ધ્વસ્ત થયું હતું પરંતુ જાપાનમાં નાગરિકોની નિષ્ઠા, પ્રમાણિકતા અને દેશપ્રેમના લીધા આજે વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બન્યુ છે. એ જ રીતે ગુજરાતના નાગરિકો જાપાનની નિષ્ઠા અને દેશભાવનાની પ્રેરણા લઇ કાર્ય કરે તો ગુજરાતના વિકાસ અને પ્રગતિને કોઇ રોકી શકવાનું નથી તેનો સ્પષ્ટ મટ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સમાજજનોને સુંદર, સ્વચ્છ, નિરોગી, હરિયાળા, સંસ્કારી ગામના સર્જન માટે પ્રેરક પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.