ખોડલધામમાં દર્શન કર્યા રાહુલે, કહ્યું ખેડૂતોનું દેવું માફ કરશે કોંગ્રેસ
રાહુલ ગાંધીએ આજે કર્યા ખોડલધામના દર્શન. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવાથી લઇને અનેક ચૂંટણી વાયદા રાહુલ ગાંધીએ તેમની આ યાત્રા દરમિયાન કર્યા. જાણો વધુ અહીં.
પાટીદારોના પવિત્ર મંદિર ખોડલધામની આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ત્રણ દિવસની મુલાકાતના અંતે મુલાકાત લીધી હતી. અહીં તેમણે માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધી હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે યાત્રાના છેલ્લા દિવસે તેમણે કાવડ ખાતે ખોડલધામની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઇએ કે આ યાત્રા પહેલા જ હાર્દિક પટેલ કોંગ્રેસના યુવરાજને આવકાર્યા હતા. અને રાહુલે પણ તેમના પ્રવાસ દરમિયાન પાટીદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યા હતા.
નોંધનીય છે કે આજે રાહુલે તેમની યાત્રા દરમિયાન જો તેમની સરકાર સત્તામાં આવી તો ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તે જરૂરિયાતમંદ લોકોને સરળ લોન પણ આપશે. વધુમાં ચીનને પોતાનો દુશ્મન જણાવી રાહુલે કહ્યું કે કોંગ્રેસના ખાલી 3 ધ્યેય છે. ચીન સાથે લડાઇ લડવી. ગુસ્સા સાથે નહીં પણ અહીંના નાના વેપારીઓની મદદ કરવા અને તેમને રોજગારી આપવા માટે. સાથે જ તેમણે કહ્યું કે પીએમ મોદીએ 15 ઉદ્યોગપતિઓને 130000 કરોડની લોન આપી છે. અને અહીં લોકો પાસે રોજગારી પણ નથી.