ગુજરાતમાં કોવિડ-19 મોતના આંકડાઓ વિશે સામે આવી ચોંકાવનારી હકીકત
કોરોનાની આવી જોખમી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે મુજબ કોરોનાથી થતા મૃત્યુ અને વાસ્તવિક મૃત્યુના આંકડાઓમાં બહુ મોટો તફાવત છે.
અમદાવાદઃ દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે વધુ ઝડપથી ફેલાઈ રહી છે. દૈનિક કેસો 3 લાખ સુધી પહોંચવા આવ્યા છે અને મોતનો આંકડો રોજ 1600થી પણ વધુ થવા લાગ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા અમુક રાજ્યોમાં તો સ્થિતિ વધુ ખતરનાક બની રહી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ મુજબ આજે પહેલી વાર કોરોના કેસનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે તેમજ 110 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 4 હજાર 561 રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે જ્યારે મૃત્યુઆંક 5367 થઈ ગયો છે અને 61,647 સક્રિય કેસ છે. કોરોનાની આવી જોખમી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે મુજબ કોરોનાથી થતા મૃત્યુ અને વાસ્તવિક મૃત્યુના આંકડાઓમાં બહુ મોટો તફાવત છે. હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામતા કોરોના દર્દીઓ કોવિડ-19ના અધિકૃત આંકડાઓના લિસ્ટમાંથી ગાયબ છે.

વાસ્તવિક મોતની સંખ્યા ઘણી વધુ
રાજ્યના આરોગ્ય બુલેટીનમાં 16 એપ્રિલે મોતના કુલ કેસ 78 બતાવવામાં આવ્યા હતા પરંતુ સાત શહેરો - અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર અને ભાવનગરમાં આ દિવસે 689 મૃતદેહોના કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 'ધ હિંદુ'એ હોસ્પિટલ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે અમદાવાદમાં 1200 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે(16 એપ્રિલ) 200 મૃતદેહોને સ્મશાન માટે મોકલવામાં આવ્યા હતા. એ જ રીતે સુરતની બે મુખ્ય હોસ્પિટલોમાંથી 190 મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન કોરોના દર્દીઓના દર્દીઓના મૃત્યુનુ કારણ કોરોનાના બદલે કંઈક અલગ જ નોંધી રહી છે. શેલ્બી હોસ્પિટલમાં એક દર્દીને કોવિડ-19 પૉઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા પરંતુ એડમિશનના થોડાક જ કલાકોમાં તેમનુ મૃત્યુ થઈ ગયુ ત્યારે હોસ્પિટલે ડેથ સર્ટીફિકેટમાં મોતનુ કારણ 'કોવિડ-19 દર્શાવવાના બદલે લખ્યુ હ્રદયરોગનો હુમલો'. અમદાવાદની બીજી એક હોસ્પિટલમાં પણ 58 વર્ષના એક દર્દીના મોતના કારણમાં 'કોવિડ-19ના બદલે ક્રોનિક ડાયાબિટીઝના લીધે કિડની ફેલ્યોર' દર્શાવવામાં આવ્યુ.

આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો-સ્મશાન ગૃહોના આંકડા અલગ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે આંકડાઓ ભયજનક સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ તરફથી મળતા આંકડા અને હોસ્પિટલો અને સ્મશાન ગૃહોના આંકડા અલગ પડી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે ગુજરાત ICMR ગાઈડલાઈન મુજબ કોવિડ-19 મોતની ગણતરી કરી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે મોતનુ પ્રાથમિક કારણ જાણવા માટે દરેક જિલ્લામાં એક ડેથ ઑડિટ સમિતિની રચના કરી છે. વર્ષ 2020માં કોવિડ-19ની પહેલી લહેર પછી રાજ્ય સરકારે દરેક કોવિડ-19 મોતનુ ઑડિટ કરવા માટે નિર્દેશ આપતો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ જે કેસોમાં પ્રાથમિક કારણ કોવિડ-19 હોય તેને જ કોવિડ-19 મોત ગણવુ. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ 'સિવિલ હોસ્પિટલ અને અન્ય ડૉક્ટરોની બનેલી આ સમિતિ અન્ય મોતને કોવિડ-19 મોત ગણતા નથી. વાયરલ ન્યૂમોનિયા કારણ હોય તેવા મોતને જ કોવિડ મોત માનવામાં આવે છે અને અધિકૃત આંકડામાં ગણવામાં આવે છે. પરંતુ આ રોગમાં આપણે જોયુ છે કે મોટી સંખ્યામાં અચાનક હ્રદયરોગના હુમલા કે હાર્ટ ફેલીયોર, બ્રેઈન સ્ટ્રોક અને મલ્ટીપલ ઑર્ગન ફેલીયોરના કારણે મોત થતા હોય છે પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી.'

સ્મશાનગૃહોની ક્ષમતામાં વધારો
ઉલ્લેખનીય છે કે માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થયેલી કોરોનાની બીજી લહેરને કારણે મ્યુનિસિપલ અને જિલ્લા પ્રશાસને સ્મશાનગૃહોની ક્ષમતામાં વધારો કર્યો છે કારણકે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે 5થી 12 કલાક સુધી રાહ જોવી પડતી હતી. સુરતમાં પ્રશાસને ઘણા વર્ષોથી ઉપયોગમાં ન આવતા 3 સ્મશાનગૃહોનો ઉપયોગ શરૂ કર્યો હતો. અમદાવાદમાં વધુ પડતા પ્રવાહને પહોંચી વળવા માટે મૃતદેહોને ખુલ્લા મેદાનમાં સળગાવવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહથી કોવિડ-19થી થતા મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. 18 એપ્રિલના રોજ રાજ્યના આરોગ્ય બુલેટીનમાં 110 મોત જણાવવામાં આવ્યા પરંતુ એક અધિકૃત માહિતી મુજબ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં વાસ્તવિક સંખ્યા 500થી વધુ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ એકલા રાજકોટમાં જ 18 એપ્રિલના રોજ છેલ્લા 24 કલાકમાં 69 મોત થયા હતા.












Click it and Unblock the Notifications
