સુરત: 'શોલે'ના અંદાજમાં કોંગ્રેસનો GST વિરોધ, ગબ્બરની ધરપકડ
સુરતમાં કોંગ્રેસે જીએસટીનો કર્યો અનોખો વિરોધગબ્બર, કાલિયા અને ઠાકુરની ટુકડીનો વિરોધપોલીસે કરી ધરપકડ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ગુજરાત મુલાકાત દરમિયાન જીએસટી અને નોટબંધીનો ખૂબ વિરોધ કર્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક રેલીમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો હતો. એ પછી સોશ્યલ મીડિયા પર પણ જીએસટીનું આ ફુલ ફોર્મ ખૂબ વાયરલ થયું હતું. હવે ગુજરાત કોંગ્રેસ જીએસટી મુદ્દે ભાજપ પર નિશાન સાધવાની એક પણ તક જતી નથી કરતા. મંગળવારે કોંગ્રેસે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખાતે રેલીમાં જીએસટીનો અનોખો વિરોધ કર્યો હતો. આ રેલીમાં શોલેના અંદાજમાં અને ગેટ-અપમાં રેડી થઇ લોકોએ ભાગ લીધો હતો.

ગબ્બર સિંહ અને કાલિયા
મંગળવારે ગુજરાત કોંગ્રેસની રેલીમાં જોવા મળેલ આ નજારો ખરેખર મજેદાર હતો. કોંગ્રેસે જીએસટીનો વિરોધ કરવા માટે રેલીમાં જાણે ગબ્બર સિંહની ટુકડી જ ઉતારી હતી. ગબ્બર સિંહ અને કાલિયા રેલીમાં ઘોડા પર હાથ બંદૂક સાથે જોવા મળ્યા હતા. ગબ્બરના વેષમાં તૈયાર થયેલ વ્યક્તિના કપડા પર જીએસટી લખેલ નાનું પોસ્ટર પર ચોંટાડવામાં આવ્યું હતું. તો એક ગાડી પર ઠાકુર પણ જોવા મળ્યા હતા અને બાકીના સભ્યો કાળા કપડામાં રેલીમાં જોડાયા હતા.

ગબ્બર સિંહની ધરપકડ
સુરત ભાજપનું ગઢ મનાય છે અને કોંગ્રેસ અહીં મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે. આ રેલીમાં ગબ્બર સિંહ અને તેની ટુકડીને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે, એ પછી પોલીસે ગબ્બર સિંહ અને તેની ટુકડીની ધરપકડ કરી હતી. ધરપકડનું કારણ જણાવતા પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ લોકોએ અનુમતિ વિના એરગન, બંદૂક, બૂલેટ વગેરેનો ઉપયોગ કર્યો હતો. જે સ્પષ્ટપણે નિયમોનું ઉલ્લંઘન છે.

ગબ્બર અને ઠાકુરના પોસ્ટર્સ
આ પહેલાં સુરતમાં ગબ્બર અને ઠાકુરના પોસ્ટર્સ પણ દિવાલ પર જોવા મળ્યા હતા. જીએસટી પર નિશાન સાધતા મીમમાં પણ 'શોલે' ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ફિલ્મમાં સંજીવ કપૂરે બોલ્યા હતા. જેમ કે, ગબ્બર જીએસટી મેં આ રહા હું. અન્ય પોસ્ટરમાં 'શોલે'ની ટેગલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દર્શાવવામાં આવ્યું છે કે, આ બોલિવૂડ અભિનેતા દેશની પરિસ્થિતિથી નાખુશ છે.

સુરત પર કોંગ્રેસની નજર
જીએસટી લાગુ થયા બાદ અમદાવાદ અને સુરતમાં વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ખાસ કરીને સુરતના વેપારી વર્ગ પર નિશાન સાધવામાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. તેમણે દિવસ દરમિયાન સુરતના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ સાંજે આ વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજ્યો હતો. નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓને જીએસટીને કારણે અનેક મુસીબતો ભોગવવી પડી છે, આથી જીએસટીના વિરોધ દ્વારા કોંગ્રેસ આ વર્ગને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરી રહી છે












Click it and Unblock the Notifications
