ચૂંટણી પહેલાં જીતુ વાઘાણી અને રાજપૂતો વચ્ચે થયું સમાધાન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 4થી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે. રાજકીય બેઠકો ઉપરાંત હાલ તેઓ ગુજરાતના રાજકારણમાં રાજકીય ગૂંચ ઉકેલવાના કામમાં પણ વ્યસ્ત. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે ખૂબ નજીક છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 4થી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે અનેક બેઠકો કરી રહ્યાં છે. રાજકીય બેઠકો ઉપરાંત હાલ તેઓ ગુજરાતના રાજકારણમાં રાજકીય ગૂંચ ઉકેલવાના કામમાં પણ વ્યસ્ત હોય એમ લાગે છે. શનિવારે રાત્રે અમિત શાહના નિવાસસ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કારડીયા રાજપૂત વચ્ચે સમાધાન થયું હતું. ગોચરની જમીન અને ખોટા કેસ બાબતની ગેરસમજ દૂર થઇ હતી. જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માંગી લેતા સમાધાન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.
જીતુ વાઘાણી અને બુધેલ ગામના સરપંચ વચ્ચે ગોચરની જમીનને લઇને વિવાદ થયો હતો, આ મામલે સરપંચ પર કેટલાક કેસ પણ કરવામાં આવ્યા હતા. આ કારણે રાજપૂત સમાજે જીતુ વાઘાણી સામે નારાજગી વ્યક્ત કરતાં આંદોલનો પણ કર્યા હતા. જો કે, ચૂંટણી ટાણે જીતુ વાઘાણીએ સરપંચની માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો. આ ઉપરાંત અમિત શાહે પણ સરપંચ સામે નોંધાયેલ કેસ પરત ખેંચવાની બાંહેધરી આપી હતી. આ સમાધાન કરાવવામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાઇ રહ્યું છે.