ગુજરાત ચૂંટણી: પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલ BJPમાં જોડાયા
પાસના વાર સામે ભાજપના બે પલટવારપૂર્વ પાસ કન્વીનર ભાજપમાં જોડાયાનીતિન પટેલની પત્રકાર પરિષદ પછી ગુરૂવારે અધિકૃત રીતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા
ગુરૂવારે વધુ એક પાસ કન્વીનર અધિકૃત રીતે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલે ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પાસ કન્વીનરો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો, તેમાંના એક ચિરાગ પટેલ પણ હતા અને તેઓ હાર્દિક સાથે જેલ પણ ગયા હતા. ભાજપમાં અધિકૃત રીતે જોડાયા બાદ તેમણે પત્રકાર પરિષદનું પણ સંબોધન કર્યું હતું.

ચિરાગ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાટીદાર આંદોલન અમે બધાએ સાથે મળીને શરૂ કર્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલન વ્યક્તિગત બની ગયું હતું. હું પાટીદાર સમાજના હિત માટે ભાજપમાં જોડાઉં છું. હાર્દિકે પોતાની પાપલીલા સ્વીકારી લેવી જોઇએ. સરદારનો ઉપયોગ કરતી કોંગ્રેસ અને માત્ર વોટબેંક માટે સરદાર તથા પાટીદારોનો ઉપયોગ કરતી કોંગ્રેસ કરતા મને ભાજપમાં જોડાવાનું વધુ સારું લાગ્યું. જે રીતે આ ઘટનાઓ ઘટી રહી છે, એના પરથી સ્પષ્ટ છે કે, પાછલા બારણે કોંગ્રેસ સાથે હાર્દિક મળેલો છે. પાટીદાર આંદોલનમાં કોંગ્રેસે હાર્દિકને ચહેરો બનાવ્યો છે, જેથી તેમને પાટીદારોનો લાભ મળે.
રાજદ્રોહના કેસ મામલે
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ઉપરાંત ચિરાગ પટેલ અને કેતન પટેલ પર પણ રાજદ્રોહનો કેસ થયો હતો. આ મામલે ચિરાગે કહ્યું હતું કે, એ કેસ પાછો ખેંચાય એ માટે હું ભાજપમાં નથી જોડાયો. એવી કોઇ ગણતરી નથી. કાયદો પોતાનું કામ કરશે. તો નીતિન પટેલને જ્યારે કેસ પરત ખેંચવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજ્યમાં શાંતિની સ્થિતિ જળવાઇ રહે એ માટે સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ અંગે જાહેરાત પણ ઘણી પહેલા જ થઇ ચૂકી હતી. એ કેસમાં રાજદ્રોહનો કેસ પણ આવી જાય છે. ઘણા કેસો પાછા ખેંચાઇ ગયા અને અન્ય કેસો પરત ખેંચવાની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
