Gujarat Election: કોંગ્રેસ સુપ્રીમો મલ્લિકાર્જૂન ખડગે આજે સુરતમાં કરશે જનસભા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા પક્ષોની તાબડતોબ સભાઓ અને રેલીઓ ચાલી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ જણાવ્યુ કે દક્ષિણ ગુજરાતમાં સુરતના ઓલપાડ અને નર્મદાના ડેડિયાપાડામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે વિશાળ જનસભાને સંબોધિત કરશે.
કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા સુરત જિલ્લાના ઓલપાડ ખાતે બપોરે 3:00 કલાકે અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે સાંજે 4:45 કલાકે યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢી પણ શનિવારે માંગરોળમાં અને બે અમરેલીમાં જાહેરસભાને સંબોધશે. વળી, ખડગે પણ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા શનિવારે દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પ્રચાર માટે તૈયાર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થકો જાહેર સભા સ્થળોએ એકઠા થઈ રહ્યા છે.
ગુજરાતમાં 182 વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ત્યારબાદ મતોની ગણતરી 8 ડિસેમ્બરે થશે, હિમાચલ પ્રદેશના પરિણામની તારીખ પણ 8 ડિસેમ્બર જ છે. બીજી તરફ આવતીકાલે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભા થવાની છે. તેઓ સુરતની સૌથી હોટેસ્ટ સીટ વરાછામાં રેલી કરશે. આ ઉપરાંત કેજરીવાલ વેપારીઓ સાથે વાતચીત કરશે.