ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની સક્રિય રજૂઆતના પગલે માછીમારી બોટ માટેના ડીઝલના ભાવવધારાનો નિર્ણય હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા માછીમારી બોટના ડીઝલમાં પ્રતિ લિટર 22.43નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ ભાવવધારાને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા માછીમારોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી હતી.

ગુજરાત ફિશરીઝ કન્ફેડરેશન દ્વારા સબસિડીવાળા ડીઝલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવા છતાં કંપનીએ ભાવ વધાર્યા હતા. આ મામલે સ્થાનિક ધારાસભ્યો અને માછીમાર સંગઠનોએ રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી. તેમણે માછીમારોને એસટી નિગમની જેમ જ વિશિષ્ટ રાહત અને છૂટક દર આપવાની માંગ કરી હતી.
રાજ્ય સરકારની આ રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રએ BPCLને ડીઝલનો ભાવવધારો તુરંત પાછો ખેંચવા આદેશ આપ્યો છે. હવે માછીમારોને અગાઉના જૂના સબસિડીવાળા રાહત દરે જ ડીઝલનો જથ્થો મળતો રહેશે.












Click it and Unblock the Notifications
