ગુજરાત FSLને રાષ્ટ્રીય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી
ગુજરાતના FSL વડા અને ગુજરાતની ફોરેન્સીક સાયન્સ યુનિ.ના ડાયરેકટર જનરલ જે.એમ. વ્યાસે જણાવ્યું કે નેપાળના તેરાઇ પંથકમાં એક શખ્સ કે જેનું અપહરણ થયું હતું તેની લાશ નદીમાંથી મળી હતી. લાશની ઓળખ સહિતના કોઇ જાતનાં પુરાવા નેપાળ પોલીસને મળી આવ્યા નહતાં. આ ઘટનાને કારણે લોકોમાં રોષ જાગ્યો હતો તેથી કોઇપણ ભોગે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે તેઓએ દેશ-વિદેશમાં નજર દોડાવ્યા બાદ અંતે ગુજરાત FSL પર દૃષ્ટિ સ્થિર થઇ હતી. આ કેસ સહિત બીજા ઘણાં આવા કેસ અનડીટેકટ હતા.
નેપાળ પોલીસના એ.મ.પી. કક્ષાના આઇપીએસ અધિકારીની આગેવાની હેઠળ એક ટીમ ગુજરાત ગાંધીનગર સ્થિત FSL માં આવી નવાઇની વાત એ હતી કે જેમાં એક યુવાન અને એક મહિલાની લાશ કોઇ રીતે ઓળખી ન શકાય તે રીતની હતી, કુલ ચાર કેસ હતાં જે ખુબજ ચકચારી હતા.
ગાંધીનગર FSL ની ટીમે લોહીના સેમ્પલો દ્વારા ડીએનએ કરી તમામ મૃતદેહોની ઓળખ કરી હતી અને નેપાલ પોલીસને પણ આ અંગે તાલીમ આપી નેપાલમાં આવા ‘મશીન વસાવવા સૂચન કરેલ. આમ જે કેસો કોઇ રીતે ઉકેલાય તેમ નહતો અને નેપાલ સરકારની આબરૂનું ધોવાણ થયેલ તે તમામ કેસો પરથી પડદો ઉઠતાં નેપાળના પોલીસ અધિકારી રાકેશકુમારની ખુશીનો પાર રહ્યો નહતો.