ગુજરાત ગૌરવ યાત્રા માણસા પહોંચી, ગરબે ઝૂમ્યા ભાજપના કાર્યકર્તાઓ
માણસા ખાતે જાહેર સભાને સૌ પ્રથમ સંબોધન કરતાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નજીકના સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.
બેચરાજીથી માતાના મઢ સુધીની યોજાયેલી ગૌરવ યાત્રાના આજના બીજા દિવસે, મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા મત વિસ્તારથી પ્રસ્થાન થઇ માણસા પહોંચે, તે પહેલાં ગાંધીનગર જિલ્લાની જનતા, પદાધિકારીઓ, સંગઠનના હોદેદારો દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી અને માણસા શહેરને કેસરીયા રંગમાં રંગી નાખ્યું હતું.
માણસા શહેર ખાતે યાત્રા પહોંચ્યા બાદ કેન્દ્રીય મંત્રીનું માણસા શહેરના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ગાંધીનગર જિલ્લાના હોદેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. માણસા ખાતે જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.
માણસા ખાતે જાહેર સભાને સૌ પ્રથમ સંબોધન કરતાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નજીકના સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા થકી ગુજરાતની વિકાસગાથા લઇને અમે આપની વચ્ચે આવ્યાં છીએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળી, ત્યારે ધારાસભ્યની બેઠક બોલાવી લોકોના કામો કેવી રીતે કરવા, લોકોની મુશ્કેલીઓનું ત્વરીત ગતિએ કેવી રીતે નિરાકરણ લાવી શકીએ અને રાજ્યના લોકોની સૌથી જરૂરી પ્રશ્નો શું છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે સૌ ધારાસભ્યોએ એક સુરમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતી માટે પૂરતી વીજળી ઉપલબ્ધ કરાવવાનું છે.
દિલીપજી વિરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાહેબે સૌ પ્રથમ કાર્ય મુખ્યમંત્રી તરીકે 24 કલાક વીજળી પૂરી પાડવાનું ખેતીલક્ષી વીજ જોડાણ આપવાનું પહેલું કાર્ય કર્યું હતું. રાજ્યમાંથી ડાર્ક ઝોન હટાવવામાં આવ્યો હતો. આગામી ચૂંટણી ભ્રામક પ્રચાર કરવા માટે અનેક જીવાંતો બહાર આવવાની છે. દિલ્હીથી એક વાયરસ વારંવાર ગુજરાત આવી રહ્યો છે અને ભ્રામક પ્રચાર કરી રહ્યો છે અને તેમનું નિશાન ઝાડુ છે. ગુજરાતની જનતા સારી રીતે જાણી રહી છે કે, ઝાડુ સ્થાન ટોયલેટમાં જ હોય છે અને ગુજરાતની જનતા આ નિશાનને તેની સાચી જગ્યા બતાવીને જ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સંબોધનની શરૂઆતમાં ભારત માતાનો જયકારો બોલાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સૌ પ્રજાજનોનો ભારતીય જનતા પાર્ટી વતી આભાર માન્યો હતો. ગુજરાતની સંસ્કૃતિ માટે ઇતિહાસમાં પણ ગુજરાત અમુલ્ય સ્થાન પામેલ છે. આગામી સમયમાં રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે લોકતંત્રમાં જેની ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે તે જવાબદાર પક્ષ હોવો જોઇએ. રાજ્યની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજ્ય આજે ચારે બાજુ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના માનીતા પુત્ર નરેન્દ્ર મોદી પોતાની દિર્ઘ દ્રષ્ટિથી આગામી સમયમાં વિકસિત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો હતો, ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે, રાજ્યની બાગડોર ગેર જવાબદાર વ્યક્તિના હાથમાં ન જાય. કોંગ્રેસ દ્વારા દેશમાં 70 વર્ષ સુધી શાસન કર્યું છે, અને તેમના શાસનકાળમાં દેશના વિકાસને અટકાવી રાખવાનું હિન કૃત્ય આચરી દેશને પછાત રાખવાનું અને પોતાના ઘર પરિવારને સમૃદ્ધ કરવાનું કૃત્ય કર્યું છે. કોરોના મહામારીમાં અમેરીકાના રાષ્ટ્રપતિને પણ મોદી સાહેબ પાસે કોરોના વેક્સિનની માંગણી કરવી પડી હતી. દેશમાં મોટાભાગના લોકોને કોરોનાની વેક્સિન લગાવી સુરક્ષીત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને ડીબીટી મારફતે તેમના ખાતામાં દર ત્રણ માસે રૂપિયા 2000 આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ ચૂંટણીમાં ઘણા બધા દેડાકાઓ, બહુરૂપીયાઓ ફરી રહ્યાં છે અને કેવી રીતે રાજ્યની અને દેશની ભારતીય જનતા પાર્ટી અને તેમની સરકારને બદનામ કરવી તેનું આયોજન કરી રહ્યાં છે. આજે પંજાબની પરિસ્થિતિ જોઇએ તો પંજાબ સરકાર પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા બચ્યાં નથી. તેમની પાસે જાહેર સુખાકારી પાછળ ખર્ચ કરવા કરતાં એડર્વટાઇઝિંગ પાછળ ખર્ચ કરવામાં રસ છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે કે, તમે લોકો આ છેતરામણી જાહેરાતોમાં આવી જઇ ગેર જવાબદારી વાળા લોકોના હાથમાં સત્તાનું સુકાન નહીં સોંપો. કોંગ્રેસ હંમેશા જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમની તરફેણમાં હતી અને તેને પાકિસ્તાનમાં ભેળવવાની તૈયારીમાં હતી, પરંતુ દેશની જનતાએ તેમની કોઠા સુઝથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સત્તારૂઢ કરી કોંગ્રેસની ઇચ્છા ઉપર પાણી ફેરવી દીધુ છે.
આ પ્રસંગે સંસદસભ્ય શારદા પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, માણસા શહેરના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ, ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, ગણેશ ચૌધરી, મયંકભાઇ નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.