અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક
ગુજરાત સરકાર 'ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ'નું નામ બદલીને હવે 'સ્પેસિફાઇડ એરિયાઝ' કરવા જઈ રહી છે. મહેસૂલ રાજ્ય મંત્રી સંજય સિંહ માહાદા વિધાનસભાના ચાલુ સત્રમાં આ નવું સુધારા વિધેયક રજૂ કરશે.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોમી સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોના ગેરકાયદેસર હસ્તાંતરણને કડક રીતે અટકાવવાનો છે. આ સાથે જ સ્થાનિક રહેવાસીઓને બળજબરીપૂર્વક થતા વિસ્થાપનથી બચાવવા માટે પણ નવી જોગવાઈઓ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર હવે જે વિસ્તારો લાંબા સમયથી હિંસા કે કોમી તણાવથી પ્રભાવિત હોય તેને 'સ્પેસિફાઇડ એરિયા' જાહેર કરી શકશે. આ નવા ફેરફારથી જાહેર વ્યવસ્થા જળવાશે અને કાયદાનું અમલીકરણ પહેલા કરતા વધુ મજબૂત બનશે.
કાયદાના અમલીકરણ માટે 'મોનિટરિંગ અને સલાહકાર સમિતિ' તેમજ 'સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ' (SIT) ની રચના કરવામાં આવશે. આ ટીમો કોમી પરિસ્થિતિનો અભ્યાસ કરી મિલકત હસ્તાંતરણની તપાસમાં જિલ્લા કલેક્ટરને સીધી મદદ કરશે.
નવા સુધારા મુજબ, હવે માત્ર ખરીદનાર કે વેચનાર જ નહીં, પરંતુ તે વિસ્તારના કોઈપણ રહેવાસી શંકાસ્પદ સોદા સામે વાંધો ઉઠાવી શકશે. કોઈપણ મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેક્ટરની પૂર્વ તપાસ વગર કાયદેસર ગણાશે નહીં.
તપાસ દરમિયાન મિલકતનો સોદો પક્ષકારોની સ્વતંત્ર સંમતિથી અને વાજબી કિંમતે થયો છે કે નહીં તેની ચકાસણી કરાશે. વસ્તી વિષયક સંતુલન અને સામાજિક સૌહાર્દ જળવાય રહે તે માટે આ પ્રક્રિયા અત્યંત અનિવાર્ય બનાવાઈ છે.
જો મિલકતનો સોદો ગેરકાયદેસર ઠરશે, તો ખરીદનારે છ મહિનામાં કબજો પરત કરવો પડશે અને વેચનારે રકમ પરત કરવી પડશે. જો મૂળ માલિક નિષ્ફળ જશે, તો કલેક્ટર મિલકતનો કામચલાઉ કબજો લઈ શકશે.
સરકારના મતે, વર્ષ 1991ના જૂના કાયદાની મર્યાદાઓને કારણે ઉભી થયેલી સમસ્યાઓ નિવારવા આ નવું બિલ લાવવામાં આવ્યું છે. આ સુધારાથી સાચા માલિકોના હિતોનું રક્ષણ થશે અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાશે.












Click it and Unblock the Notifications
