ગુજરાત સરકારે આપી દિવાળી ભેટ, CNG અને PNG પર 10% વેટ ઘટાડ્યો, ઉજ્વલા યોજનાથી 2 સિલિન્ડર મફત મળશે
ગુજરાત સરકારે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લઈને લોકોને મોટી ભેટ આપી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લઈને લોકોને મોટી ભેટ આપી છે. આ નિર્ણયમાં સરકારે રાજ્યના પરિવારને 2 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ભાજપ સરકાર તમામ લોકોની ચિંતા કરે છે. પીએમ મોદીએ ગરીબ કલ્યાણકારી નીતિઓ બનાવી છે. ત્યારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના 38 લાખ લાભાર્થીઓ માટે સરકારે વર્ષના 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સિલિન્ડર લીધાના ત્રીજા દિવસે તેમના ખાતામાં રુપિયા જમા થઈ જશે.
વાઘાણીએ વધુમાં કહ્યુ કે સરકારે CNG અને PNG પરથી 10% વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી 14 લાખ CNG વાહનચાલકોને સીધો ફાયદો થશે. જીતુ વાઘાણીએ કહ્યુ કે, અમારી સરકારે CNG અને PNG પર VAT (વેલ્યુ એડેડ ટેક્સ) 10% ઘટાડ્યો છે. વાઘાણીએ કહ્યુ કે આ નિર્ણય 38 લાખ ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જેના કારણે નાગરિકો અને ગૃહિણીઓને એક લાખ રૂપિયાની રાહત મળવાની છે. તેમણે કહ્યુ કે આ નિર્ણયથી ગૃહિણીઓ અને વાહન ચાલકોને સીધો ફાયદો થશે.
હવે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી વધુ એક સારા સમાચાર મળી શકે છે. સત્તારૂઢ ભાજપ સરકાર ખેડૂતો માટે 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. જુલાઈ પછી ભારે વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને સરકાર ખેડૂતોને વળતરની જાહેરાત કરી શકે છે. તાજેતરમાં જ ભાજપના એક નેતાએ કહ્યુ હતુ કે 11 જિલ્લામાં થયેલા નુકસાનના સર્વે બાદ પ્રાપ્ત ડેટા અનુસાર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.