ગુજરાત સરકારના 70 ટકા કર્મચારીઓ નિવૃત્તિના આરે
હવે જનરલ વહીવટી વિભાગે તમામ વિભાગોને આવતા ૧૦ વર્ષ માટેનો ભરતીનો પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે. છેલ્લા 20 વર્ષના ભરતી ઉપરના પ્રતિબંધને કારણે સરકારમાં નવા લોહીની એન્ટ્રી અટકી ગઇ હતી.
નાણા વિભાગના અંદાજ અનુસાર વર્ષ 2013-14માં જ ગુજરાત સરકારના 19,884 કર્મચારીઓ નિવૃત થશે અને આવતા પાંચ વર્ષમાં દર વર્ષે 20,000 જેટલા કર્મચારીઓ નિવૃત થતા જશે. છેલ્લા પાંચ વર્ષમાં જ દર વર્ષે 18,000 કર્મચારીઓ નિવૃત થતા ગયા હતા. ગુજરાત સરકારે વહીવટી તંત્રની ગુણવતાને સીધી અસર કરે તે પ્રકારના 25 જેટલા મહત્વના વિભાગોમાં 40,000 જેટલી જગ્યાઓ અલગ તારવી છે.
છેલ્લે 28 ઓકટોબર, 1991ના રોજ ગુજરાત સરકારે એક ઠરાવ જાહેર કરીને ભરતી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. વર્ષ 2011 પછી થોડી ભરતી થઇ હતી અને હવે ગયા વર્ષે આ પ્રતિબંધ સંપુર્ણપણે ઉઠાવી લેવાયો હતો. જો કે અછત લાંબા સમય સુધી રહે તેવી શકયતા છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 1.4 લાખ નિમણુંકો કરવામાં આવી છે.
પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ વિભાગના જણાવ્યા પ્રમાણે 16.55 ટકાથી વધુ કર્મચારીઓ 55 વર્ષથી ઉપરના છે અને 40.16 ટકા કર્મચારીઓ 46 થી 55 વર્ષ વચ્ચેના છે. અન્ય 29.59 ટકા કર્મચારીઓ 36 અને 45 વર્ષ વચ્ચેના છે. રાજય સરકારના દરેક વિભાગોમાં 25થી 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. કેટલાક વિભાગોમાં તો 50 ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે.
સામાન્ય વહીવટી વિભાગે તમામ વિભાગોને મંજુર થયેલ સંખ્યાબળનો સ્ટેટસ રિપોર્ટ આપવા અને આવતા 10 વર્ષમાં કેટલા કર્મચારીઓની જરૂર રહેશે તે અંગેની જરૂરીયાતનો રિપોર્ટ આપવા જણાવ્યુ છે. મુખ્ય સચિવ વરેશ સિંહાનું કહેવુ છે કે 10 વર્ષનો પ્લાન એટલા માટે તૈયાર કરવામાં આવે છે કે, ભરતી માટે અગાઉથી વહીવટી મંજુરી મળી જાય. આ અંગેનુ કેલેન્ડર થઇ રહ્યુ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે આવતા 3 વર્ષની અંદર 2 લાખથી વધુ નવા કર્મચારીઓની નિમણુંક કરવી પડશે. હાલ પેન્શનનો બોજો રૂપિયા 7200 કરોડનો છે. જે દર વર્ષે રૂપિયા 500 કરોડ વધતો જશે.