ખોટા કેસ બદલ વન મંત્રી ગણપત વસાવાને ગુજરાત હાઇકોર્ટની કારણ દર્શક નોટિસ
ગુજરાત હાઇકોર્ટે વન મંત્રી ગણપત વસાવા ઉપરાંત ગુજરાત સરકારના ગૃહવિભાગ અને નર્મદા જિલ્લાના કલેક્ટર સહિત તમામ પક્ષકારોને કારણદર્શક નોટિસ પાઠવી 12 જૂન સુધી જવાબ રજુ કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ ભરત વસાવા પર થયેલા પાસા (અસમાજિક પ્રવૃત્તિ અટકાયત ધારો)નાં કેસ અંગે કોઈ પણ કાર્યવાહી પર મનાઈ હુકમ ફરમાવી નર્મદા જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી ખુલાસો મંગાવ્યો છે.
અરજદાર ભરત વસાવાએ રિટમાં રજુઆત કરી હતી કે તેઓના પત્ની કોંગ્રેસના ટિકિટ પરથી રાજપીપળા મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર બન્યા છે. તેઓની પત્ની દ્વારા અગાઉ હાઈકોર્ટમાં રિટ કરી ગુજરાત સરકાર દ્વારા રાજપીપળા મ્યુનિસિપાલિટીના અધ્યક્ષપદ માટે કરેલા ફેરફારને પડકાર આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રોસ્ટર બહાર પાડી જાહેરાત કરવામાં આવી હતી કે રાજપીપળા મ્યુનિસિપાલિટીના અધ્યક્ષનો પદ સામાન્યવર્ગના ઉમેદવારનાં બદલે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત રહેશે.
ગુજરાત સરકાર દ્વારા થયેલા ફેરફારને પ્રથમ દર્શનીય રીતે અમાન્ય ગણી મનાઈ હુકમ આપ્યો હતો. જેનાં પગલે વનમંત્રી ગણપત વસાવા કોંગ્રેસી કાઉન્સિલરને હાઈકોર્ટમાંથી રિટ પાછી ખેંચવા ધમકી આપતા હતા. પરંતુ રિટ પાછી ન ખેંચતા કાઉન્સિલરના પતિ પર પાસા અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે તેવો આક્ષેપ રિટમાં કરવામાં આવ્યો છે.
અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે 1 મે, 2013નાં રોજ ગણપત વસાવાએ ફોન પર તેમને ધમકી આપી હતી. તેઓનાં જ હુકમથી 28 મેનાં રોજ જિલ્લા કલેક્ટર વર્ષ 2004-05માં થયેલા જમીન વેચાણના એક કેસમાં તેઓની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ કાર્યવાહી કરતાં પૂર્વ તત્કાલીન કલેક્ટરની પૂર્વમંજુરી પણ લેવામાં આવી ન હતી.
હાલમાં રાજપીપળા મ્યુનિસિપાલિટીમાં 27 કાઉન્સિલર છે. જેમાંથી 14 કોંગ્રેસનાં અને 13 ભાજપના સભ્યો છે. ગણપત વસાવા દ્વારા અરજદારની પત્ની સહિત પાંચ અન્ય કાઉન્સિલરને ભાજપમાં ભળી જવાની સલાહ આપવામાં આવી હતી. જે અંગે અરજદારનાં પત્ની દ્વારા સ્વીકારવામાં ન આવતા તેઓની સામે પાસા અન્વયે કેસ કરવામાં આવ્યો હતો. અરજદારની રજુઆતો ગ્રાહ્ય રાખી હાઈકોર્ટ રિટ દાખલ કરી વધુ સુનાવણી 12મી જૂન પર નિયત રાખવામાં આવી હતી.