લગ્ન કરી હિંદુમાંથી મુસ્લિમ બનતી યુવતીઓ અંગે ગુજ.HCનો નિર્ણય
લગ્ન બાદ હિંદુમાંથી મુસલમાન બનેલ યુવતીઓ અંગે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટ દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરી હિંદુમાંથી મુસ્લિમ બનેલ યુવતી કે મહિલા અંગે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, હવે મુસ્લિમ વ્યક્તિ જોડે લગ્ન કરી હિંદુમાંથી મુસ્લિમ બનેલ મહિલાને તેના પિતાની પૈતૃક સંપત્તિ પર અધિકાર આપવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે આ નિર્ણય નસીમાબાનો ફિરોઝખાન પઠાણ(ઉર્ફે નયનાબેહન ભીખાભાઇ પટેલ)ની અરજી બાદ સંભળાવવામાં આવ્યો હતો.
ગુજ. હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
આ કેસની સુનવણી કરતા ન્યાયાધીશ જે.બી.પર્દીવાલાએ આદેશ આપ્યો હતો કે, 'હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ' હેઠળ પુત્રીનો પિતાની પૈતૃક સંપત્તિમાં ભાગ હોય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કાયદામાં ધર્મ બદલાતા વારસદારને સંપત્તિમાંથી વંચિત કરવાની કોઇ જોગવાઇ નથી. ધર્મ પરિવર્તન કરી લગ્ન કરનાર તેના હિંદુ સંબંધીઓનો ઉત્તરાધિકાર લેવામાંથી બાકાત થાય છે.
વારસદારોની સૂચિમાંથી બાકાત
કોર્ટે આદેશ કરતાં ગુજરાત રાજસ્વ વિભાગને જણાવ્યું હતું કે, મહિલાનું નામ તેમના પિતાના વારસદારોમાં ઉમેરવામાં આવે. નોંધનીય છે કે, આ પહેલાં અધિકારીઓએ તે ધર્મ પરિવર્તન કરી મુસલમાન બની હોવાને કારણે પોતાના પિતાની સંપત્તિની વારસદાર ન બની શકે એમ જણાવ્યું હતું અને સાથે જ વારસદારોમાંથી મહિલાનું નામ કાઢી નાંખવામાં આવ્યું હતું.
1990માં થયા હતા લગ્ન
વડોદરાના રહેવાસી નસીમાબાનો ફિરોઝખાન પઠાણે(ઉર્ફે નયનબહેન ભીખાભાઇ પટેલ) 11 જુલાઇ, 1990ના રોજ ફિરોઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને મુસલમાન બની ગયા હતા. લગભગ 14 વર્ષ બાદ 2011માં તેમના પિતાનું નિધન થયું હતું. ગામડામાં તેમના પિતાની ઘણી જમીન હતી, પરંતુ નસીમાબાનોના ભાઇ-બહેનોએ તેમનું નામ વારસદારોની સૂચિમાંથી કાઢી નાંખ્યુ હતું.