અમિત શાહ,સ્મૃતિ ઇરાની અને અહમદ પટેલને ગુજ.હાઇકોર્ટની નોટિસ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને અહમદ પટેલને નોટિસ મોકલવામાં આવી છે.
ગત મહિને ગુજરાતમાં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં થયેલ હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ હવે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ નેતા અહમદ પટેલને નોટિસ મોકલવામાં આવી છે. ભાજપ નેતા બળવંત સિંહ રાજપૂતના નેતાની ફરિયાદ મામલે આ નોટિસ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલની જીત બાદ બળવંત સિંહ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
18 ઓગસ્ટના રોજ બળવંત સિંહ રાજપૂત હાઇકોર્ટ ગયા હતા. ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બે ધારાસભ્યોના મત રદ્દ કરવાના નિર્ણયને બળવંત સિંહ રાજપૂતે કોર્ટમાં પડકાર્યો છે. બળવંત સિંહે પોતાની અરજીમાં કહ્યું છે કે, ચૂંટણી પંચના નિર્ણયને નકારતા તેમને વિજેતા જાહેર કરવામાં આવે.
ગત મહિને ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફથી ત્રણ ઉમેદવારો હતા, અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંત સિંહ રાજપૂત. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીને વિજયનો સ્વાદ ચાખવા મળ્યો, પરંતુ ત્રીજી બેઠક પર બળવંત સિંહને અહમદ પટેલ સામે હારવાનો વારો આવ્યો.
આ ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને તેમની પર આરોપ હતો કે તેમણે મત આપ્યા બાદ પોતાનું બેલેટ પેપર ભાજપના નેતાને બતાવ્યું છે. આથી કોંગ્રેસ દ્વારા આ બે ધારાસભ્યોના મત રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી, જે ચૂંટણી પંચે માન્ય રાખી હતી. ત્યાર બાદ થયેલ મત ગણતરીમાં અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને અહમદ પટેલને જીત મળી હતી.