Gujarat News: લગ્ન નોંધણીના નવા નિયમો માટે સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા સૂચન માટે એક મહિનાનો સમય
Gujarat News: ગુજરાતમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો કરવા માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સૂચિત નિયમો અંગે સામાન્ય જનતા અને સંસ્થાઓ પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે.

1 મહિનામાં મોકલી શકાશે સૂચનો
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, નવા નિયમોના ડ્રાફ્ટ અંગે જો કોઈને વાંધો હોય અથવા કોઈ સુધારો સૂચવવો હોય, તો તેઓ 1 મહિનાની અંદર સરકારને લેખિતમાં જાણ કરી શકે છે. ગઈકાલે વિધાનસભામાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ આજે સરકારે આ પ્રક્રિયાને સત્તાવાર વેગ આપ્યો છે. લોકોના પ્રતિભાવો મળ્યા બાદ સરકાર આ નિયમોની સમીક્ષા કરશે અને ત્યારબાદ જ તેનો આખરી અમલ કરવામાં આવશે.
પ્રેમ લગ્ન અને સામાજિક સુરક્ષા પર ભાર
નવા નિયમો લાવવા પાછળનો મુખ્ય હેતુ છેતરપિંડી રોકવાનો અને સામાજિક વિવાદોમાં ઘટાડો કરવાનો છે. સૂચિત નિયમોમાં ખાસ કરીને નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે:
- માતા-પિતાની સંમતિ: પ્રેમ લગ્ન કે ભાગીને કરેલા લગ્નોમાં માતા-પિતાની સંમતિ અથવા તેમની હાજરી અનિવાર્ય બનાવવા અંગે ગંભીર વિચારણા.
- સાક્ષીઓની વિગત: લગ્ન નોંધણી સમયે સાક્ષીઓની હાજરી અને તેમની ઓળખ પ્રક્રિયાને વધુ સચોટ બનાવવી.
- પારદર્શિતા: સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન અને વધુ વ્યવસ્થિત બનાવીને વિવાદોને અટકાવવા.
આગામી પ્રક્રિયા શું રહેશે?
આગામી એક મહિના સુધી સરકાર વાંધા અને સૂચનો સ્વીકારશે. ત્યારબાદ તમામ પ્રતિભાવોનું સ્કેનિંગ અને વિશ્લેષણ કરવામાં આવશે. જો કોઈ સૂચન યોગ્ય જણાશે તો તેને નિયમોમાં સામેલ કરીને આખરી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે આ નવા નિયમો અમલમાં આવવાથી ગુજરાતના સામાજિક માળખા પર મોટી અસર પડશે અને લગ્ન નોંધણીની જૂની પદ્ધતિઓમાં મોટા ફેરફારો જોવા મળશે.












Click it and Unblock the Notifications
