હાર્દિક પટેલને મોટી રાહત, સરકારે દેશદ્રોહનો કેસ પાછો ખેંચ્યો
ગુજરાતના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં મોટી રાહત મળી છે. રાજ્ય સરકારે 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત રાજદ્રોહના કેસો પાછા ખેંચી લેતા હાર્દિક પટેલ સહિતના આરોપીઓને આ કેસમાંથી મુક્તિ મળી છે.

સુરત સેશન્સ કોર્ટે સરકારની કેસ પરત ખેંચવાની અરજી મંજૂર રાખી છે. આ નિર્ણયને કારણે હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને પણ રાજદ્રોહના ગંભીર ગુનામાંથી આઝાદી મળી છે. સરકારી વકીલોએ નોટિફિકેશન સાથે વિડ્રોઅલ અરજી દાખલ કરીને કેસ આગળ ન ચલાવવાની રજૂઆત કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમયે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ આંદોલનના લગભગ દસ વર્ષ બાદ રાજ્ય સરકારે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને આ કેસમાંથી છુટકારો આપ્યો છે.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન ગુજરાતમાં ચરમસીમા પર હતું, તે સમયે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાર્દિક પટેલના એક કથિત નિવેદન પર આધારિત હતો.
આરોપ મુજબ, આંદોલન દરમિયાન સુરતના એક પાટીદાર યુવક વિપુલ દેસાઈએ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. ત્યારે હાર્દિક પટેલે તેની મુલાકાત લીધી અને તેને ઉદ્દેશીને કહ્યું હતું કે, આત્મહત્યા શું કામ કરે છે? મરવું હોય તો બે-ચાર પોલીસવાળાને મારી નાખો, પણ પાટીદારનો દીકરો ક્યારેય મરે નહીં.
પોલીસે આ નિવેદનને અત્યંત ગંભીર સ્વીકારી દાવો કર્યો કે તે દ્વારા રાજ્ય સરકાર સામે યુદ્ધ છેડવા અને હિંસા ફેલાવવા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. પરિણામે પોલીસે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને અન્યો સામે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 124A (રાજદ્રોહ) હેઠળ ગુનો નોંધ્યો હતો.
રાજ્ય સરકારે પાટીદાર આંદોલન સંબંધિત કેસો પરત ખેંચવાની ખાતરી આપતા, તાજેતરમાં સુરત સેશન્સ કોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી કરાઈ. કોર્ટે તેને મંજૂર રાખતા, આ તમામ નેતાઓ રાજદ્રોહના કેસમાંથી નિર્દોષ છૂટ્યા છે.












Click it and Unblock the Notifications
