2,020 કિલોમીટરના નવા પાકા રસ્તાઓ માટે 2600 કરોડ મંજૂર
ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે ગાંધીનગરથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય કેબિનેટે 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' (PMGSY) અંતર્ગત 2,020 કિલોમીટરના નવા પાકા રસ્તાઓ માટે 2,600 કરોડ મંજૂર કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણયથી 1,614 પરાઓને જોડી 8 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ ગ્રામીણ કનેક્ટિવિટીમાં મોટો બદલાવ લાવશે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે.
આ યોજના હેઠળ નિર્માણ થનારા 2,020 કિલોમીટરના રસ્તાઓ પાકા અને બારમાસી હશે. જેથી ચોમાસામાં પણ અંતરિયાળ ગામડાઓનો સંપર્ક તૂટશે નહીં. વાહનવ્યવહાર સરળ રહેશે, જે આદિવાસી પટ્ટાના દુર્ગમ વિસ્તારો સુધીની પહોંચ સુલભ બનાવશે.
લાભાર્થી પરાઓની પસંદગી 2011ની વસ્તી ગણતરી આધારે કરાઈ છે. પાકા રસ્તાથી વંચિત પરાઓને પ્રાથમિકતા અપાઈ, જેમાં સામાન્ય વિસ્તારના 500થી વધુ અને આદિવાસી વિસ્તારમાં 250થી વધુ વસ્તી ધરાવતા પરાઓ પસંદ કરાયા. પ્રથમ તબક્કે કુલ 1,614 પરાઓ આવરી લેવાશે.
આ નવા રસ્તાઓથી 1,699 પરાઓમાં વસવાટ કરતી 8 લાખથી વધુ જનસંખ્યાને સીધો ફાયદો થશે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકો સ્થાનિક લોકો સુધી પહોંચી શકશે. 2,600 કરોડના પ્રોજેક્ટમાં 60% ભંડોળ કેન્દ્ર અને 40% રાજ્ય સરકાર દ્વારા પૂરું કરાશે.
PMGSY-4 અંતર્ગત, રાજ્યમાં 4,781 પરાઓનો સર્વે થયો હતો, જેમાંથી અમુકને મંજૂરી અપાઈ. બાકીના પરાઓની ચકાસણી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરાઈ રહી છે. ભવિષ્યમાં ગુજરાતનું કોઈ પણ ગામડું પાકા રસ્તાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે.












Click it and Unblock the Notifications
