દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર ગુજરાતના 72 લોકોની કરી ઓળખઃ પોલીસ વડા
દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર ગુજરાતના 72 લોકોની કરી ઓળખઃ પોલીસ વડા
ગુજરાતમાંથી દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદના 34, ભાવનગરના 20, મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવાની રાજ્ય પોલીસ વડાએ ચીમકી આપી છે.
નાગરિકો પણ પોલીસને શોશિઅલ મીડિયા મારફતે કરી શકે છે રજૂઆત
આ લોકડાઉનના અસરકારક અમલીકરણ માટે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. ઉપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે. રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદ માટે લેવાશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા નાગરિકોને પણ વ્હોટ્સએપ, ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ માધ્યમો થકી તેમની ફરિયાદો, રજૂઆતો કે સૂચનો રાજ્ય પોલીસ વિભાગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
ધાર્મિક સ્થળોમાં પણ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
રાજ્ય બહારથી માલ લઈને આવતાં માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. જોકે, આવાં વાહનચાલકો પરત જતી વખતે અન્ય રાજ્યોના નાગરિકોને વાહનમાં બેસાડીને લઈ ન જાય, તેની તકેદારી રાખવા પોલીસ વડાએ જણાવ્યું હતું. બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું હતું. તદુપરાંત, હાલ રવી પાકની મોસમ ચાલી રહી હોઈ, ખેડૂતોને પાકની લણણી અને માવજત માટે જવા-આવવાની છૂટ રહેશે. જોકે, ગામડાંમાં પણ ગંભીરતાપૂર્વક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાસ કાળજી રાખવા આદેશ કર્યો છે. પોલીસ દ્વારા હવેથી ધાર્મિકસ્થળોની પણ તપાસ કરવામાં આવશે અને ચારથી વધારે નાગરિકો એકઠા થયેલા જણાશે, તો તેમની સામે ગુનો દાખલ થશે.
સીસીટીવી અને ડ્રોન દ્વારા કરાય છે સર્વેલન્સ
રાજ્યમાં નિયમભંગ અને જાહેરનામા ભંગની વિગતો આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કુલ 153 ડ્રોન તેમજ સ્થાનિક સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડ્રોનના ફૂટેજ પરથી નોંધાયેલા 398 ગુનામાં 368 લોકોની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામા ભંગના 958 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 336 ગુના તેમજ અન્ય 30 ગુના મળી કુલ 1324 ગુના નોંધાયા છે.
રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોકઃ સચીવ અશ્વિની કુમાર