'ટોપીવાળા સાથે કોઈ ગઠબંધન નહિ', ગુજરાતમાં AAP સાથે ચૂંટણી લડવા પર બોલ્યા BTP નેતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા રાજકીય પક્ષો પોતપોતાના દાવ-પેચ અજમાવી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા રાજકીય પક્ષો પોતપોતાના દાવ-પેચ અજમાવી રહ્યા છે. મે મહિનાથી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનમાં રહેલી આદિવાસી પ્રભુત્વવાળી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ આજે તેની ચાર મહિના જૂની ભાગીદારીના અંતનો સંકેત આપ્યો છે. BTP નેતા વસાવાએ કહ્યુ કે અમારી પાર્ટી હવે 'ટોપીવાળા સાથે કોઈ ગઠબંધન' ઈચ્છતી નથી.

છોટુ વસાવાએ કહ્યુ - અમારે ટોપીવાળા સાથે નથી જવુ
વસાવાએ કહ્યુ કે તેઓ ભાગ્યે જ ભગવા કે સફેદ ટોપી પહેરેલા કોઈ પણ પક્ષ સાથે કામ કરશે. BTPના સ્થાપક છોટુ વસાવાએ કહ્યુ, 'દેશની ભયાનક પરિસ્થિતિ કોઈનાથી છૂપી નથી. હવે અમે કોઈ ટોપીવાલા સાથે સંબંધ બાંધવા માંગતા નથી, પછી ભલે તે ભગવા ટોપી પહેરેલા હોય કે ઝાડુના પ્રતીકવાળી સફેદ ટોપી. તેઓ બધા એક જ છે. આ દેશ પાઘડી પહેરનારા લોકોનો છે અને તમામ પક્ષોએ આદિવાસીઓના પ્રશ્નોની અવગણના કરી છે.' વસાવાએ ઉમેર્યુ હતુ કે, 'તેમને તેમના નિર્ણયની અસરની પરવા નથી. જે લોકો આ દેશના વડા પ્રધાન બનવા માંગે છે તેઓ મજૂરો અને તેમના મુદ્દાઓ વિશે વાત કરવાનુ ટાળી રહ્યા છે. ભલે અમે જીતીએ કે હારીએ, અમે આ ટોપીવાળાઓ સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ.'

1 મેએ કેજરીવાલ સાથે આવ્યા હતા વસાવા
અગાઉ કેજરીવાલ, છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવાએ 'આદિવાસી સંકલ્પ મહાસંમેલન'માં ગઠબંધનની જાહેરાત કરી હતી. જેને તેઓએ 1 મેના રોજ ભરૂચના ચંદેરિયા ગામમાં સંયુક્ત રીતે સંબોધિત કરી હતી. પરંતુ બંને ગઠબંધન ભાગીદારો વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં તિરાડ બની ગયા. 31 ઓગસ્ટના રોજ BTP એ જાહેરાત કરી કે તે આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી રાજ્યની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે. આ દરમિયાન ગયા અઠવાડિયે જાહેર કરાયેલ તેની ઉમેદવારોની ત્રીજી યાદીમાં AAPએ આદિજાતિ બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં તાપી જિલ્લાના નિઝર માટે અરવિંદ ગામીત, સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી બિપિન ગમેતી અને નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી પ્રફુલ્લ વસાવા સામેલ હતા.

વસાવાના નિવેદનથી ચોંક્યા આપ નેતાઓ
AAP નેતાઓએ જણાવ્યુ હતુ કે તેમને BTP માટે જોડાણમાંથી બહાર નીકળવાનુ કોઈ કારણ દેખાતુ નથી અને વસાવાના નિર્ણય વિશે તેમને જાણ પણ કરવામાં આવી નથી. છોટા ઉદેપુર સીટ પરથી આપના ઉમેદવાર અર્જુન રાઠવાએ કહ્યુ, 'અમને BTP તરફથી ગઠબંધન ખતમ કરવા અંગે કોઈ માહિતી મળી નથી.' તમને જણાવી દઈએ કે 10 ઉમેદવારોની પ્રથમ યાદીમાં અર્જુનના નામની જાહેરાત કરવામાં આવી હતી. અર્જુને કહ્યુ છે કે છોટુ વસાવા અને તેના પુત્ર મહેશ સાથે થયેલી તમામ બેઠકોમાં આદિવાસીઓને લગતા તમામ મુદ્દાઓ પર બંને પક્ષો એક જ મંચ પર હતા.અર્જુને કહ્યુ, 'કેજરીવાલજી દ્વારા જાહેર કરાયેલ આદિવાસી 'ગેરંટી' પણ તેમની સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવી હતી. ભૂતકાળમાં BTPએ અમને ગુજરાતમાં આદિવાસીઓ માટેની તમામ 27 અનામત બેઠકો માટે સંભવિત ઉમેદવારોની યાદી આપી હતી. પરંતુ જ્યારે અમે તેમને વધુ વિગતો શેર કરવા કહ્યુ જેમ કે તેઓ કયા મત વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરશે...અમને કોઈ જવાબ મળ્યો નથી. છોટુભાઈએ આવો નિર્ણય લીધો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.'

કોણ છે છોટુ વસાવા
વસાવા, એક સમયે જનતા દળ (યુનાઇટેડ)ના આદિવાસી નેતા હતા. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા BTPની સ્થાપના કરી હતી અને કોંગ્રેસ સાથે જોડાણ કરીને પાંચમાંથી બે બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં ભરૂચના ઝઘડિયા મતવિસ્તારમાંથી વસાવા અને નર્મદા જિલ્લાના દેડિયાપાડામાંથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા હતા. વસાવાએ હવે કહ્યુ છે કે, 'અમે સ્વબળે લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશુ. 2017માં કોંગ્રેસે અમારી સાથે (ગઠબંધન)ની માત્ર વાતો કરી હતી. આખરે તેમણે અમારી સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા.'












Click it and Unblock the Notifications
