Gujarat Rain : ગુજરાતમાં બારે મેઘ ખાંગા, સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા
24 ઓગસ્ટ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં સતત પાણીની મોટી આવક થઈ રહી છે. આ જ કારણ છે કે ડેમ લેવલ મેન્ટેન કરવા માટે 15 દરવાજા 1.65 મીટર ખોલાયા છે.
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 27 સેન્ટિમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે.

જણાવી દઈએ કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ઉપરવાસમાંથી સતત 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખોલવામાં આવ્યા છે.
હાલ રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23,081 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં વરસાદ વિશે વાત કરીએ તો, આજે રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 76 તાલુકામાં 1 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે.
આજે નવસારીના ખેરગામમાં આભ ફાટવા જેવી સ્થિતી છે. અહીં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સિવાય નર્મદાના ડેડિયાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
