અમદાવાદ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આખા દિવસના ઉકળાટ બાદ વરસાદે રમઝટ બોલાવી હતી.
અમદાવાદઃ હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આખા દિવસના ઉકળાટ બાદ વરસાદે રમઝટ બોલાવી હતી. વરસાદના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં શાહીબાગ, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, ઓગણજ અને રાણીપ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી વાતાવરણ પલટાતા બારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે ગરમી અને ઉકળાટ બાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. જામનગરના કાલાવડમાં રવિવારે એક ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે જોમજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યા હતા. રાજકોટમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરગામમાં 22 મિમી, કપરાડામાં 31 મિની, ધરમપુરમાં 25 મિમી તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિમી, કડાણામાં 50 મિમી, ઝાલોદમાં 30 મિમી વરસાદ પડ્યો હતો.
મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત થયા હતા. હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત કુલ ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલા બે પશુના મોત નિપજ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતા. બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનુ મોત નિપજ્યુ હતુ.
ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. શનિવારે પશ્ચિમી તટે ગોવા, મુંબઈને પાર કરીને આગળ વધેલુ ચોમાસુ રવિવારે પણ ત્યાં જ અટકી ગયુ. જો કે, હવે તે ઝડપથી દક્ષિણ ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાનાઅને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દક્ષિણ રાજસ્થાન, ગુજરાતના અંદરના વિસ્તારો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોનસૂન ઝાપટા પણ શરૂ થઈ ગયા છે.