રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ શરુ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થઈ હોવાથી હવે ફરીથી વરસાદ ચાલુ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જોર વધુ રહેશે. 6 ઓગસ્ટથી વરસાદ વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં આખો મહિનો હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

અહીં શરુ થયો વરસાદ
તમને જણાવી દઈએ કે 10 દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદ શરુ થયો હતો. અરવલ્લીના ધનસુરા, માલપુર મેઘરજના ગ્રામ્યા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. બુધવારે મોડી રાતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદની શરુઆત થઈ હતી. હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દમણ, દાદરા અને નગર હવેલી, સાબરકાંઠા, કચ્ઠ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. જો કે, ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વાવણી ચાલુ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં કામગીરી ચાલુ છે. રાજ્યના 4000 ગામોમાં ભારે વરસાદને કારણે નુકશાન થયુ છે. બુધવારે સાંજે કૃષિ મંત્રી સર્વે બાબતે રિવ્યુ બેઠક પણ યોજાઈ હતી. 9 જિલ્લાના કલેક્ટર રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાહત પેકેજ જાહેર થશે. ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનુ વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલમાં ખેડૂતો દ્વારા વાવણી ચાલુ છે.

જળાશયોમાં ભરાયા પાણી
મહત્વનુ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 118 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 83 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા, ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસાદ થયો છે. વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26 ટકા પાણી, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79 ટકા, કચ્છના 20 જળાશયોમાં 70 ટકા પાણી અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 55 ટકા પાણી ભરાયા છે.












Click it and Unblock the Notifications
