ગુજરાતમાં નર્મદા ડેમ સહિતના 13 ડેમ વરસાદી પાણીથી છલકાયા
રાજ્યના ફલડ કંટ્રોલ સેલ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ આજે 29 જુલાઇ, 2013ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું પાણીનું સ્તર 125.42 મીટર છે. ડેમમાં 3,49,058 ક્યુસેકસ એવરેજ ઇનફલો તેમજ 5265.84 મિલિયન ક્યુસેકસ મીટર ગ્રોસ સ્ટોરેજ થઇ રહ્યો છે. જ્યારે ડેમમાંથી સરેસા 2,77,338 ક્યુસેક પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે.
રાજ્યના 19 જળાશયો 90 ટકાથી વધુ ભરાઇ ગયા હોવાથી હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 4 જળાશયો 80થી 90 ટકા ભરાતાં એલર્ટ અને 4 જળાશયો 70થી 80 ટકા ભરાતાં સામાન્ય ચેતવણી રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 150 મી.મી. એટલે કે 6 ઇંચ, રાજકોટ જિલ્લાના માળીયા મીયાણામાં 126 મીમી એટલે કે પાંચ ઇંચ અને સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં 105 મીમી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.