ગુજરાત : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 3 જૂને જાહેર થશે
નોંધનીય છે કે ગત વર્ષે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 25 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે નવ દિવસ મોડું જાહેર થશે. જેના કારણે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી 5.25 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ શહેર ગ્રામ્યના 62,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ તેમજ વ્યવસાયલક્ષી, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ પણ ત્રીજી જુને જાહેર કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર વરસાણીએ જણાવ્યું કે 'રાજ્યભરના 5.25 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ ત્રીજી જૂને જાહેર કરાશે. કેટલીક માર્કશીટનું હજું પ્રિન્ટિંગ બાકી હોવાથી માર્કશીટ વિતરણની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.'
ધોરણ 11 સાયન્સનું બીજા સેમેસ્ટરનું પરિણામ 10 જૂને
એપ્રિલ 2013માં લેવામાં આવેલી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યભરમાં 1.17 લાખ પૈકી અમદાવાદ શહેર ગ્રામ્યના 15000 વિદ્યાર્થીઓનું પરિણામ આગામી 10 જૂનના રોજ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા પરિણામ મેળવી શકશે.