ગુજરાતના જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક અશોક શિલાલેખ પર છત તૂટી પડી
જૂનાગઢ, 19 જુલાઇ : જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક અશોક શિલાલેખની છત અને દીવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હોવાને કારણે 17 જુલાઇ, 2014ને ગુરુવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે તે અશોકના શિલાલેખ પર તૂટી પડી હતી.
જૂનાગઢમાં વરસાદને કારણે ઇતિહાસના અમુલ્ય વારસા એવા અશોકના શિલાલેખને સંરક્ષિત કરતા ઓરડાની છત તુટી પડતા તેનો કાટમાળ શિલાલેખ પર પડયો હતો, જેને કારણે કેટલાક અંશે શિલા અને તેના પર લખાયેલા લખાણને પણ નુકસાન થવા પામ્યું છે.
જૂનાગઢમાં ભવનાથ રોડ પર સોનાપુર સ્મશાન પાસે આવેલા ઐતિહાસિક સ્મારક અશોકના શિલાલેખને સંરક્ષિત કરતા ઓરડાની છત અને દિવાલો જર્જરિત અને નબળી પડી ગઇ છે તે અંગેની ફરિયાદ સ્થાનિક નાગરિકોએ છેલ્લા ઘણા સમયથી તંત્ર સામે ઉછાવી હતી. છતાં તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી હતી.
જૂનાગઢથી ગીરનાર તરફ જતાં માર્ગ પર જમણીબાજુએ લગભગ એકાદ કિલોમીટરના અંતરે અશોકનો શિલાલેખ આવેલો છે. લગભગ 2200 વર્ષ જુના આ ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે 1900ની સાલમાં જૂનાગઢના નવાબે ઓરડો બનાવ્યો હતો. જૂનાગઢમાં શહેરી વિસ્તાર કરતા ભવનાથ વિસ્તારમાં વધારે વરસાદ જોવા મળતો હોય છે. ગીરનાર ઉપર ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણી પૂરા વેગ સાથે ઘસમસતું નીચે આવે છે. પાણીના આ વેગને કારણે આ સંરક્ષિત દિવાલો અને છત તુટી પડી હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના બાદ સવાલ એ ઉઠે છે કે શિલાલેખને સંરક્ષિત કરતા ઓરડાની છત અને દિવાલો જો જર્જરીત થઇ ગઇ હતી, તો અત્યાર સુધી પુરાતત્વ વિભાગે આ મામલે કેમ કોઇ દરકાર ન લીધી. જૂનાગઢમાં મોટી સંખ્યામાં સંરક્ષિત સ્મારકો આવેલા છે. ત્યારે આ ઘટનાએ કિંમતી ઐતિહાસિક ધરોહરોની જાળવણીને લઇને પુરાતત્વખાતાની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દુ:ખની લાગણી પ્રસરી ગઇ છે.