કોંગ્રેસ આપશે પાટીદારોને અનામત : હાર્દિક પટેલ
હાર્દિક પટેલ પ્રેસવાર્તા કરીને કોંગ્રેસ અને અનામત મામલે આપી સ્પષ્ટતા. હાર્દિક જણાવ્યું કેવી રીતે કોંગ્રેસ સત્તામાં આવી તો પાટીદારોને આપશે અનામત. આ અંગે વધુ જાણો અહીં.
પાટીદાર નેતા હાર્દિક પટેલે પ્રેસવાર્તા કરીને પાટીદાર અનામત અને કોંગ્રેસ સાથે તેના ગઠબંધન પર સ્પષ્ટતા આપી હતી. સાથે જ તેણે આ પ્રસંગે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો અમને અનામત આપશે. સાથે જ હાર્દિકે જણાવ્યું કે તે કોઇ પણ પાર્ટીમાં નહીં જોડાય. સાથે જ તે અહીં કોંગ્રેસને વોટ આપવા માટે પણ નથી કહી રહ્યો પણ જે અમારા અધિકારોની વાત કરશે તેની સાથે અમે રહીશુ આમ કહી તેને આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. વધુમાં હાર્દિકે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ OBC, ST, SC માંથી કોઈ પણને કપાત કર્યા વગર પાટીદાર સમાજને અનામત આપશે. અને વાતનો ફાયદો બિનઅનામત વર્ગના લોકોને પણ થશે તેમ હાર્દિકે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રેસવાર્તામાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને મનોજ પનારા જેવા તમામ પાસ નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલની આ પ્રેસવાર્તા ખૂબ જ મહત્વની સાબિત થશે. હાર્દિકે આ પ્રેસવાર્તામાં કેવા સવાલોના શું જવાબ આપ્યા વિગતવાર જાણો અહીં.
અનામત અંગે
હાર્દિક પટેલે જણાવ્યું કે અનામત અંગે કોંગ્રેસે જે ફોર્મ્યુલા આપ્યો છે તેને અમે સ્વીકારીએ છીએ. અને આ મામલે ખોડલધામ અને ઉમિયાધામ પર અમારી સાથે છે. આ ફોર્મ્યુલા મુજબ જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો પાટીદાર સહિત બિન અનામત વર્ગને ઓબીસી સમકક્ષ લાભ આપશે અને તે માટે હાલની 49 ટકા અનામતમાં કોઇ ફેરફાર કરવામાંન નહીં આવે પણ ખરડો પસાર કરીને અનામત આપવામાં આવશે. અને સ્પેશ્યલ કેટેગરી માટે એક કમિશનની રચના કરવામાં આવશે.કોંગ્રેસ જે અનામત પેકેજ 600 કરોડનું હતુ તેને બદલેને તેમણે 2000 કરોડને કરી આપ્યુ છે. કોંગ્રેસ સરકાર બંધારણના આર્ટિકલ 31 (C) અને 46 પ્રમાણે પાટીદારોને અનામત આપશે.
કોંગ્રેસ સમર્થન
હાર્દિક કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીના એજન્ટ નથી. કોંગ્રેસ યુવાનો, ખેડૂતો માટે વિચાર કરે છે. અમારો ઉદ્દેશ ખાલી યોગ્ય ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એટલો જ છે. અને અમારા અધિકારોની જે વાત કરશે અમે તેની સાથે રહીશું. મારી જનતાને ખાલી એક જ અપીલ છે કે તમારો મત વેડફતા નહીં.
ટિકિટ મામલે
હાર્દિક પટેલે આ મામલે સ્પષ્ટતા આપી કે પાસ દ્વારા કોંગ્રેસ સાથે ટિકિટ મામલે કોઇ પણ પ્રકારની વાત નથી કરવામાં આવી. અમે ટિકિટ માંગી પણ નથી અને માગીશું પણ નહીં. સાથે જ હાર્દિકે કોઇ પણ પાર્ટી સાથે જોડાવાની વાતનો પણ અસ્વીકાર કર્યો હતો.
ભાજપ
ભાજપ પર આરોપ મુક્તા જણાવ્યુ તેણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં એક એક મતદાતાને 1000 રૂપિયા આપીને ખરીદવામાં આવી રહ્યા છે. વિકાસની વાતોમાં તેઓ માત્ર રીવરફ્રન્ટ બતાવીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. સાથે જ હાર્દિકે કહ્યું કે 200 કરોડ ખર્ચીને ભાજપે અપક્ષ ઉમેદવારોને ઉતાર્યા છે. કેટલાક કહેવાતા પાસના કન્વીનરોને 50-50 લાખ આપીને અપક્ષ ઉમેદાવારી ફોર્મ ભર્યા છે. જે માત્ર રણનીતિનો ભાગ છે. વધુમાં તેણે કહ્યું કે સરકારે માત્ર અમુક સામાન્ય કેસો જ પાછા ખેસ્યા છે.
લલિત વસોયા
લલિત વસોયા વિશે વાત કરતા જણવ્યુ કે તેમણે અમને પહેલેથી જણાવ્યુ ન હતુ એ વાતનું દુખ હતુ પણ હવે તે આંદોલનથી છુટ્ટા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ધોરાજીથી કોંગ્રેસે લલિત વસોયાને પાસ નેતા તરીકે ટીકીટ આપી હતી. જે પછી તેમણે હાર્દિક ના પાડે તો ચૂંટણી ન લડવાની વાત પણ કહી હતી. જો કે આ મામલે હાર્દિકે ઉપરોક્ત સ્પષ્ટતા આપી હતી.
પાક્કો ગુજરાતી
વધુમાં હાર્દિક પટેલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હું પાક્કો ગુજરાતી છું. અને ગુજરાતીઓ મુર્ખ નથી. સાથે જ તેણે કહ્યું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરા પર અનામતના મુદ્દાને લેશે. જો કે સાથે જ હાર્દિકે સ્પષ્ટતા આપી કે કોઈ પણ સરકાર બનશે અનામતની લડાઈ ચાલુ રહેશે. સાથે જ પાસમાં કોઇ આંતરિક ભેદભાવ નથી તેમ પણ તેને જણાવ્યું હતું.