18મી ડિસેમ્બરે ગુજરાતમાં એક નવી સરકાર હશે: હાર્દિક પટેલ
પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા હવે કોંગ્રેસ અને ભાજપ બીજા તબક્કામાં સૌથી વધારે મતો મેળવવા માટે વ્યસ્ત થઇ ગયા છે. સાથોસાથ આ વખતે ભાજપ, કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓને પાસ એ બરાબરની લડત આપી છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા હવે કોંગ્રેસ અને ભાજપ બીજા તબક્કામાં સૌથી વધારે મતો મેળવવા માટે વ્યસ્ત થઇ ગયા છે. સાથોસાથ આ વખતે ભાજપ, કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓને પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)એ બરાબરની લડત આપી છે. અને ભાજપ માટે વિજય માર્ગ ખુબ ટફ બનાવી દીધો છે. ત્યારે પ્રથમ તબક્કામાં થયેલા મતદાન બાદ પાસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્રમાં 54 બેઠકમાંથી ભાજપ વધુમાં વધુ 18 બેઠકો જ જીતી શકશે. જ્યારે ભાજપનો ગઢ ગણાતા સુરતમાં પણ ભાજપને મુશ્કેલી પડી તેવો દાવો પાસ દ્વારા કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે ભાજપ આ ચૂંટણીમાં 12 પૈકી માત્ર 6 બેઠકો જ કબ્જે કરી શકશે. આમ, જો પાસના દાવા મુજબ ભાજપને રિસ્પોન્સ મળે તો ભાજપ માટે ચિંતાનો વિષય છે.
પાસના લીડર હાર્દિક પટેલે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષ દરમિયાન પાટીદારો પર કરવામાં આવેલા અત્યાચારો, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીનો પ્રશ્ન, આશા વર્કરો સાથે થયેલો અન્યાય, નોંટબંધી, જીએસટી, ખેડૂતો સાથે થયેલો અન્યાય આ તમામ મુદે ભાજપે પીછેહટ કરવી પડે તેમ છે. ત્યારે પ્રથમ ચરણમાં જ ગુજરાતીઓએ ભાજપ વિરૂધ્ધ નોંધપાત્ર મતદાન કર્યું છે. જ્યારે બીજા તબક્કામાં પણ આ સ્થિતિ જ રહેશે. તેમજ 18મી ડિસેમ્બરે ગુજરાતમાં એક નવી સરકાર હશે જે ખરા અર્થમાં પ્રજાની સરકાર હશે.
જયારે સૌરાષ્ટ્ર પાસના કન્વીનર બ્રિજેશ પટેલે કહ્યું કે હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં કરેલા પ્રવાસમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સભા અને રોડ શો કર્યા હતા. જેના ફળરૂપે સૌરાષ્ટ્રમાં પાટીદારો જ નહીં પણ તમામ જ્ઞાતિઓ દ્વારા ભાજપ વિરૂધ્ધ મતદાન કરવામાં આવ્યું હતુ. અમારા સર્વે મુજબ સૌરાષ્ટ્રમાં પહેલા સરેરાશ 55 ટકા પાટીદારો મતદાન કરવા આવતા હતા. પણ 9મી ડિસેમ્બરે અંદાજે 75 ટકા પાટીદારોએ મતદાન કર્યું છે. જે ભાજપ માટે જોખમી બની રહેશે.
બીજી તરફ બ્રિજેશ પટેલે દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં 54 સીટ પૈકી માત્ર 18 સીટ જ પર જીત મેળવી શકશે. જ્યારે સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે સુરતમાં ભાજપના બુરા હાલ થવાના છે. જેમાં 12 બેઠકો પૈકી છ બેઠકો પાટીદારો છીનવી લેશે. કારણ કે અમદાવાદ બાદ સુરતમાં પાટીદારો પર સૌથી વધારે અત્યાચાર કર્યા છે. આમ, પ્રથમ તબક્કામાં પાસને અપેક્ષા છે કે બીજા તબક્કામાં પણ ભાજપ વિરૂધ્ધ મતદાન થશે.