ભારે વરસાદને કારણે થયેલ નુકસાનને પહોંચી વળવા તંત્ર એલર્ટઃ CM
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તંત્ર સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.
રાજ્યના દરિયા કિનારાના વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતિ છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પાણી પ્રવાહને કારણે પાકને પણ નુકશાન પહોંચ્યું છે. શહેર અને ગામડાઓમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવાનો વારો છે. વરસાદને કારણે કેટલાક ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા, જેને કારણે પશુધનના મોત નીપજતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અંગે સુરતમાં જણાવ્યું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અને રાજ્ય જિલ્લા વહીવટી તંત્રો વરસાદની આ આપત્તિને પહોંચી વળવા સજ્જ છે. ભારે વરસાદથી જે વિસ્તારોમાં નુકસાન થયું છે, તેની સમીક્ષા કરીને રાજ્ય સરકાર નિયમાનુસારની સહાય અંગે યોગ્ય નિર્ણયો કરશે. નોંધનીય છે કે, કેટલાક જિલ્લાઓમાં કલેક્ટર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરી તેમને ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને લઇ NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.