ગૃહમંત્રી રાજનાથ સિંહે પોરબંદરમાં મરિન ઇન્સ્ટિટ્યુટ સ્થાપવાની ઘોષણા કરી
પોરબંદર, 10 સપ્ટેમ્બર : ગુજરાતમાં દરિયાઇ અને જમીની સરહદની સુરક્ષાની સમીક્ષા કરવા માટે બે દિવસની મુલાકાતે આવેલા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે પ્રથમ દિવસે પોરબંદરની મુલાકાત લીધી હતી.
રાજનાથ સિંહ આજે પોરબંદરની મુલાકાત દરમિયાન બપોરે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
રાજનાથસિંહે પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે પોરબંદરમાં મરીન પોલીસ ટ્રેનીંગ સેન્ટર ટૂંક સમયમાં સ્થાપવામાં આવશે. આ ઉપરાંત માછીમારોના વણઉકેલાયેલા પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમજ પોરબંદરની આસપાસ રીફાઈનરી કંપનીઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાશે.
આજે રાજનાથ સિંહે પોરબંદરની મધ્યમાં સરદાર પટેલ નેવલ યાર્ડનું ખાત મુહૂર્ત કર્યું હતું. અંદાજે બે થી ત્રણ વર્ષમાં પોરબંદરનું નૌકાદળ મથક ધબકતું થઇ જશે. હાલ ગોવા-કર્ણાટક અને મુંબઇમાં નૌકાદળ મથકો છે.
આગામી ત્રણ વર્ષ બાદ દેશની પશ્ચિમી સરહદે કર્ણાટક, મુંબઇ અને પોરબંદર એ ત્રણ સ્થળોએ નૌકાદળ મથક કાર્યરત થઇ જશે. પોરબંદરમાં ગુજરાતનું પ્રથમ નૌકાદળ મથક બનશે. પોરબંદર નૌકાદળ મથકથી પશ્ચિમી સરહદે દરિયાઇ વિસ્તારમાં ભારતીય સેનાની બાજ નજર રહેશે.
પોતાના બીજા દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત રાજનાથસિંહ સવારે ભુજથી હવાઇ માર્ગે સીધા જ હરામીનાળા જશે ધુસણખોરી માટે કુખ્યાત હરામીનાળા વિસ્તારમાં ફરજ બજાવતા બીએસએફના જવાનો ટીમ કોકોડાઇલ કમાન્ડો,કાદવ કીચડ, અને પાણીમાં કેવી રીતે ફરજ બજાવે છે તેના દિલધડક કરતબો બતાવાશે.
ત્યાર બાદ ગૃહમંત્રી લખતપ જશે. લખપત બોર્ડર આઉટ પોસ્ટને ખુલ્લી મુકશે. અહી તેઓ સૈનિક સંમેલનને સંબોધન કરી બપોરનું ભોજન બડાખાના સૈનિકો સાથે લેશે. લખપતથી હવાઇ માર્ગે તેઓ સીધા જ રણ સરહદ વીધાકોટ પહોંચશે. અહીં ધરમશાળા ચોકી ખાતે પત્રકારોને મળશે.
કચ્છના મોટા રણની આ સરહદે ગૃહમંત્રી દ્વારા મેમોરીયલ પાર્કમાં શહીદોને વીરાંજલી અપાશે. ઉપરાંત કાળાડુંગર અને ઇન્ડિયા બ્રિજ વિસ્તારનું કેન્દ્રીય ગૃહમંત્રી હવાઇ નિરીક્ષણ કરશે. ભુજથી કાલે ગુરૂવારના સાંજે છ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.