ગાંધીનગર જિલ્લમાં સામાજિક ન્યાન મંત્રી શાળા પ્રવેશોત્સવમાં રહ્યા હાજર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં ૧૭માં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક શાળામાં ૧૭માં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કુલ ૧૦૬ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
મંત્રી પરમારે વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં ધોરણ ૧ થી ૮ માં કન્યાનો ડ્રોપ આઉટ રેશિયો ૨૨.૮૦ ટકાથી ઘટીને ૩.૪૬ ટકા સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસના પાયામાં શિક્ષણ રહેલું છે. શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થી અને તેના કુટુંબ માટે એક અનેરા આનંદનો પ્રસંગ બની જાય છે.
મંત્રીએ આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓની માહિતી આપી હતી અને શાળાના બાળકો સાથે નિખાલસ સંવાદ કર્યો હતો ત્યારબાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું. શાળાના બાળકોએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.
૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વર્ષ ૨૦૧૯-૨૦થી શિક્ષણ વિભાગની UDISE (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) આધારિત ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના જન્મ નોંધણીના ડેટાને પણ એકીકૃત કરવામાં આવ્યો છે. શિક્ષણ કાર્યમાં શિક્ષકો બેદરકારી દાખવે નહીં તથા વિદ્યાર્થીઓ દરરોજ હાજર રહે તે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી લેવામાં આવે છે.
શિક્ષણ ક્ષેત્રે સરકારના સંનિષ્ઠ પ્રયાસોને સફળ બનાવવા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યું છે એમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે,ચાલુ વર્ષે શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ. ૭૩૦ કરોડ ૩ લાખ અને વિકસતી જાતિ કલ્યાણની રૂ. ૧,૨૭૩ કરોડ ૩૫ લાખ મળી કુલ રૂા. ૨૦૦૩ કરોડ ૩૮ લાખ જેટલી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૦ હજાર અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૫૦ હજાર કન્યાઓને વિના મુલ્યે સાયકલ આપવામાં આવે છે.