ઇન્કમ ટેક્સની રેઇડ પાછળ કોંગ્રેસનું કાવતરું : ભાજપ
ગુજરાતમાં વેપારીઓને અને ઉદ્યોગકારોને જે રીતે રંજાડવામાં આવી રહયા છે તેવું ભૂતકાળમાં કયારેય બન્યું નથી, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની સત્તાના જોરજૂલમથી આવકવેરાના દરોડા પાડીને પોતે નાણાં પડાવવાનું રીતસરનું ષડયંત્ર રચ્યું છે અને જે રીતે દિવાળીના તહેવારોમાં દરોડા પાડવા આવકવેરા વિભાગના ધાડાં ઉતરી આવ્યા છે.
આ પરિસ્થિતિએ ગુજરાતમાં રીતસરનું ભય અને ગભરાટનું વાતાવરણ સર્જી દીધું છે અને તેની પાછળની કોંગ્રેસની નાણાં ભેગા કરવાની બદનિયત છે, એટલું જ નહીં. વેપારી વર્ગને ધાકધમકીથી વશમાં લેવાના પેંતરા રચવામાં આવ્યા છે, એમ પ્રવકતાઓએ જણાવ્યું હતું.
ભાજપાના પ્રદેશ પ્રવકતાઓએ ભૂતકાળમાં ગુજરાતમાં કયારેય ઇન્કમટેક્ષના દરોડા રાજકીય વેરવૃત્તિ અને દ્વેષભાવથી પાડવામાં આવ્યા નથી તે અંગે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે કોંગ્રેસ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા નાના બિઝનેસમેનો ઉપર ધાકધમકી અને રાજકીય દબાણથી કોંગ્રેસનું સમર્થન મેળવવા હવાતીયા મારી રહી છે.
ભાજપા પ્રવકતાઓએ વેપારીઓને અને જનતાને રંજાડતા આવકવેરાના દરોડા પાછળની કોંગ્રેસની બદનિયત ખૂલ્લી પાડતા એવી ચેતવણી આપી છે કે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં કોંગ્રેસના દોરી સંચારથી આવકવેરાના દરોડા તાત્કાલિક અસરથી બંધ નહી થાય તો ગુજરાતની જનતાનો મિજાજ વિફરશે.