નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવ અને યુદ્ધની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ પડતા દેશમાં એલપીજીની ભારે અછત સર્જાય તેવી સ્થિતિ છે. આ સંકટને ટાળવા માટે સરકાર અને ઓઈલ કંપનીઓ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

વ્યૂહાત્મક આયોજન મુજબ, 14.2 કિલોના ગેસ સિલિન્ડરનું વજન ઘટાડીને 10 કિલો કરવામાં આવી શકે છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ મર્યાદિત ગેસ સ્ટોકને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવાનો રાખવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માને છે કે વજન ઘટાડવાથી સંકટના સમયમાં સપ્લાય ચેઈન જાળવી શકાશે.
નિષ્ણાતોના મતે 10 કિલો ગેસ ધરાવતો સિલિન્ડર નાના પરિવાર માટે લગભગ એક મહિનો ચાલી શકે તેમ છે. નવા નિયમ મુજબ સિલિન્ડર પર ખાસ સ્ટીકર લગાવાશે અને તેની કિંમત પણ વજન મુજબ ઓછી કરાશે. જોકે, આ ફેરફાર માટે બોટલિંગ પ્લાન્ટમાં ટેકનિકલ સુધારા અને નિયમનકારી મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.
વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટમાં અનેક ગેસ ટેન્કરો ફસાયેલા હોવાથી ભારતની આયાત પર મોટી અસર પડી છે. ભારત પોતાની જરૂરિયાતનો 60% એલપીજી આયાત કરે છે, જેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવતો હોય છે. હાલમાં જે જહાજો ભારત પહોંચ્યા છે, તે માત્ર એક દિવસની જરૂરિયાત પૂરી કરવા માટે જ પૂરતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ સ્થિતિને ગંભીર ગણાવીને દેશવાસીઓને સુરક્ષિત રહેવાની ખાતરી આપી છે. ભારતે હવે કોઈ એક દેશ પર નિર્ભર રહેવાને બદલે 41 દેશોમાંથી ઉર્જા આયાત કરવાનું શરૂ કર્યું છે. સરકાર દેશનો વ્યૂહાત્મક ઉર્જા ભંડાર 65 લાખ મેટ્રિક ટન સુધી વધારવા માટે પણ સક્રિયપણે કામ કરી રહી છે.
આગામી સમયમાં જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ વિતરણ વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. સરકારની પ્રાથમિકતા સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે અને પુરવઠો સતત ચાલુ રહે તે જોવાની છે. ખાસ નિયુક્ત કરાયેલી ટીમ દરરોજ સ્થિતિની સમીક્ષા કરીને આયાત-નિકાસના અવરોધો દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.












Click it and Unblock the Notifications
