ફરાર ભાજપી ધારાસભ્ય જેઠા ભરવાડના આગોતરા જામીન
પંચમહાલની શહેરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ પર કોંગ્રેસી ઉમેદવાર છોટુ ભરવાડ પર ફાયરિંગ કરવાનો આરોપ છે. આ ઘટના બાદ તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયા હતા.
આજે તેમણે વડોદરા ખાતે એક ટીવી ચેનલને ઇન્ટર્વ્યુ આપતા જણાવ્યું હતું કે 'મારી કોઇ ધરપકડ કરવામાં આવી નથી માટે ફરાર થઇ જવાનો સવાલ જ પેદા નથી થતો. તેમણે જણાવ્યું કે હાલમાં મને ડોક્ટરે આરામ કરવાનું જણાવ્યું છે. મારા અંગરક્ષકે મારા બચાવ માટે હવામાં ગોળીબાર કર્યો હતો, માટે મેં કોઇ ગૂનો નથી કર્યો કે જેનાથી મારે સંતાવું પડે. પોલીસ મને તપાસ માટે બોલાવશે અને હું સાજો થઇ જઇશ તો હું પોલીસ સમક્ષ હાજર થઇ જઇશ'
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન શહેરા બેઠક પર મતદાન દરમિયાન જેઠા ભરવાડ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે તકરાર થઇ હતી. જેના પગલે ઉશ્કેરાઇને કોંગ્રેસી કાર્યકરોએ જેઠા ભરવાડ પર હોકી અને તલવારથી હુમલો કર્યો હતો. જેઠા ભરવાડે જણાવ્યું હતું કે જેના બચાવના ભાગરૂપે તેમના અંગરક્ષકે હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
આ તકરારમાં છોટુ ભરવાડને માથાના ભાગે ઇજા પહોંચી છે જ્યારે જેઠા ભરવાડને પણ તલવારોના ઘા વગવાથી ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.