જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી બનવા પરોક્ષ રીતે કરી માંગણી
ગુજરાતમાં કોંગ્રેસ કોઇ ચહેરાને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા સિવાય સંયુક્ત નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ પ્રણાલી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસ કોઇ ચહેરાને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા સિવાય સંયુક્ત નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ પ્રણાલી સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે. કેરળમાં પેટા ચૂંટણીના પ્રચારાર્થે ગયેલા મેવાણીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કોઇ ચહેરાને મુખ્યમંત્રી પદનો દાવેદાર જાહેર કર્યા સિવાય મેદાનમાં સંયુક્ત નેતૃત્વ સાથે ઉતરશે.
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં જો કોંગ્રેસ સત્તા પર આવે તો કોંગ્રેસે જન આંદોલન દ્વારા ઉભરી આવેલા નેતાને જ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા જોઇએ. મેવાણીએ પોતાને જન આંદોલનના નેતા ગણાવ્યા હતા, જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતુ કે, લોકોને તેમના પર વિશ્વાસ અને ભરોસો છે. લોકોને જન આંદોલન દ્વારા ઉભરી આવેલા ચહેરાની જરૂર હોય છે. આ રીતે, તેમણે પરોક્ષ રીતે પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવ્યા હતા. પરંતું, તેમણે પોતે મુખ્યમંત્રી દાવેદાર તરીકે હોવાનો ઇન્કાર પણ કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયમાં થયેલા જનઆંદોલનમાંથી ખાસ કરીને ત્રણ યુવા ચહેરા રાજકારણમાં ઉભરી આવ્યા હતા. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર. જેમાંથી, બે ચહેરાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાછે છેડો ફાડી ચુક્યા છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા છે અને હાર્દિક પટેલ હવે ભાજપ ભણી જવાની વેતરણમાં છે, જે રીતે ફક્ત હવે કોંગ્રેસમાં ફક્ત જિગ્નેશ મેવાણી મુખ્ય જનઆંદોલનકારી ચહેરો બચ્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં કોઇ પ્રભાવશાળી અને ભાજપના દિગ્ગજ નેતાઓને ટક્કર આપી શકે તેવો ચહેરો નથી. આ કારણે, કોંગ્રેસમાં નેતૃત્વ ક્લેશ રહ્યા કરે છે અને જૂથવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. કોઇ નવીન નેતા કે કાર્યકર્તાને કોંગ્રેસમાં કામ કરવા કે જોડાઇ રહેવા પણ સંઘર્ષ કરવો પડે છે. ત્યારે, શું જિગ્નેશ મેવાણીને જૂના જોગીઓ સ્વિકારી રહ્યા છે ?