બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠકના રાજકીય સમિકરણ
બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠકના રાજકીય સમિકરણ
બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંની કાંકરેજ વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક બનાસકાંઠા અને પાટણ જિલ્લાને અડીને આવેલી બેઠક છે. કાંકરેજ વિધાનસભા બેઠકમાં કાંકરેજ તાલુકાના ગામો અને ડીસા તાલુકાના 18 જેટલા ગામોનો સમાવેશ મતવિસ્તાર તરીકે થાય છે. આ વિધાનસભા બેઠકમાં કૂલ 2.92 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં, 1.53 લાખ પુરૂષ મતદારો અને 1.1.39 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં કૂલ 303 મતદાન મથકોનો સમાવેશ થાય છે.
કાંકરેજ વિધાનસભાના રાજકીય ગણીત પર નજર કરવામાં આવે તો, આ બેઠક અસ્તિત્વમાં આવ્યાથી 12 વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. જેમાં, 6 વખત કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં, કોંગ્રેસના ધારસી ખાનપુરા 4 વખત ચૂંટાયા છે. જ્યારે, 3 વખત ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસના દિનેશ જાલેરાને પરાજીત કર્યા હતા. કિર્તીસિંહ વાઘેલા વર્તમાનમાં ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી છે.
આ બેઠક પરના જાતિગત સમિકરણની ચર્ચા કરવામાં આવે તો, આ બેઠક પર ઠાકોર અને માલધારી સમાજનું પ્રભુત્વ રહેલુ છે. આ બે જાતિઓના વર્ચસ્વ ઉપરાંત ક્ષત્રિય અને ચૌધરી સમાજના મતદારો પણ મોટી સંખ્યામાં છે. આ સિવાય દલિત, મુસ્લિમ અને ઇત્તર મતદારો નિર્ણાયક છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી કિર્તિસિંહ વાઘેલાને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે, કોંગ્રેસમાંથી અમરતજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તો, આમ આદમી પાર્ટીએ મુકેશ ઠક્કરને મેદાનમાં ઉતાર્યા છે.