અમદાવાદની ઘટનામાં રાજપૂતોનો હાથ નહીં: કરણી સેના
મંગળવારે રાત્રે અમદાવાદમાં થિયેટરની બહાર થયેલ તોફાન બાદ પદ્માવતનો વિવાદ વધુ વકર્યો છે. આ મામલે 450થી વધુ લોકો સામે તોડફોડ અને રમખાણનો કેસ નોંધવામાં આવ્યો છે, 44 લોકોની ધરપકડ થઇ છે
મંગળવારે રાત્રે અમદાવાદમાં થિયેટરની બહાર થયેલ તોફાન બાદ પદ્માવતનો વિવાદ વધુ વકર્યો છે. આ મામલે 450થી વધુ લોકો સામે તોડફોડ અને રમખાણનો કેસ નોંધવામાં આવ્યો છે, 44 લોકોની ધરપકડ થઇ છે અને વધુ 17 લોકોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બધા વચ્ચે રાજપૂત કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું છે કે, અમદાવાદમાં બનેલ ઘટનામાં રાજપૂતોનો હાથ નહોતો. બુધવારે બપોરે પત્રકાર પરિષદનું સંબોધન કરતાં તેમણે આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું કે, પદ્માવત ફિલ્મ રિલીઝ ન થવી જોઇએ. મને ખબર છે કે મારી ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે અને આ ધરપકડ પહેલાની મારી છેલ્લી પત્રકાર પરિષદ પણ હોય.
તેમણે આગળ કહ્યું કે, આ સમગ્ર મામલે જો કોઇનો દોષ હોય તો તે સંજય લીલા ભણસાલી છે. હું ગુજરાતમાં જ્યાં પણ ગયો ત્યાં એક વિસ્તાર પણ એવો નથી જ્યાં રામલીલા વિરુદ્ધ કેસ ન નોંધાયો હોય. ફિલ્મ રિલીઝ થઇ તો દેશભરમાં જનતા કરફ્યૂ લાગશે. ગુજરાત અને રાજસ્થાનમાં જનતા કરફ્યૂ લાગ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત મળીને 148 લોકોની ધરપકડ થઇ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે ફિલ્મ પદ્માવતના વિરોધમાં અમદાવાદના હિમાલયા મોલની બહાર તોડફોડ થઇ હતી અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે લોકોની ધરપકડ થઇ છે, એ માટે કોઈ ભીડ ભેગી ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.