કેજરીવાલ આમ આદમી પાર્ટીને એડવર્ટાઇઝ કંપનીની જેમ ચલાવે છે-કોંગ્રેસ
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરીંદરસિંહ રાજા બ્રારની પત્રકાર પરિષદ યોજાઇ હતી.
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરીંદરસિંહ રાજા બ્રારની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી અહીં વારંવાર આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે, પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. આજ પ્રમાણે દિલ્હીની અંદર પણ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એમ કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદુષણ થાય છે અને અમે આ પ્રદુષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છે.
આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી, હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. પંજાબમાં ચૂંટણી ટાણે કેજરીવાલે જણાવ્યું હતું કે, ૧ એપ્રિલ પછી એકપણ ખેડૂત આત્મહત્યા નહી કરે પરંતુ છેલ્લા બે મહિનામાં ૨૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમણે મગદાળ ઉપર એમ.એસ.પી. આપવાની વાત કરી હતી પરંતુ ૮૩ ટકા મગ એમ.એસ.પી.થી નીચેના ભાવે ખેડૂતોને વેચવા પડયાં.
પંજાબમાં મુખ્યમંત્રી આવાસ સહિત દરેક શહેરોમાં ખેડૂતો પોતાની માંગણી માટે ધરણા કરી રહ્યાં છે. પંજાબથી નજીકના રાજ્યોમાં બાય ઈલેક્શન થયા ત્યા આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉંપરની દરેક બહેનોને માસિક રૂ. ૧૦૦૦ ભથ્થુ આપવામાં આવશે. આ વાત પણ એક જુમલો જ સાબિત થઈ. આમ આદમી પાર્ટીની છેલ્લા આઠ મહિનાની સરકારમાં એકપણ બહેનને રૂ. ૧૦૦૦ની સહાય આપવામાં આવેલ નથી. કોંગ્રેસની સરકાર દર મહિને ૨૦૦ યુનિટ અને બે મહિનાના બિલમાં ટોટલ ૪૦૦ યુનિટ ફ્રી આપતી હતી કે જેમાં સાત કિલો વોટ સુધીના મીટર કે જે પંજાબમાં ૯૫ ટકા લોકોને આવરી લે છે. તેમને યુનિટ દીઠ ત્રણ રૂપિયા સબસીડીનો લાભ મળતો હતો. હવે જ્યારે કેજરીવાલે માસિક ૩૦૦ યુનિટ મફત આપવાની વાત કરી છે તે માત્ર એવા લોકો માટે છે કે જેમનું બિલ ૩૦૦ યુનિટથી નીચે આવતુ હોય તેમને જ તેનો લાભ મળે છે. જો નક્કી કરેલ યુનિટથી વધારે બીલ આવે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. જો ટેક્ષ બધા ચુકવતા હોય તો શા માટે લાભ દરેકને નહીં.
આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણ છે, મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ગુજરાતની સાડા છ કરોડની જનતા ત્રસ્ત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટી માત્રને માત્ર ભાજપને મદદ કરવા માટે ગુજરાતમાં કાર્ય કરી રહી છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો સાચો ચહેરો દર્શાવવા હું પંજાબથી અહિં આવ્યો છું. અરવિંદ કેજરીવાલ ચિઠ્ઠીમાં કોંગ્રેસને આટલી સીટો મળશે તેવું લખીને ભ્રહ્મ ફેલાવી રહ્યાં છે