ખંભાળિયા : કોંગ્રેસી ઘરમાંથી આવતા પૂનમ માડમની લડાઇ કોંગ્રેસ વિરુધ્ધ!
પક્ષો દ્વારા ટિકીટની વહેંચણી દરમિયાન કોંગ્રેસના કાર્યકર પૂનમબેન માડમને ટિકીટ ન મળતાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. તેમને ગણતરીના કલાકોમાં ભાજપની ટિકીટ પણ મળી ગઈ! કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમબેન માડમને ટિકીટ મળતાં ભાજપના અનેક કાર્યકરો- આગેવાનો નારાજ થયા હતા. આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવતા અને કોંગ્રેસ સાંસદ વિક્રમ માડમના ભત્રીજી પૂનમબેન માડમની સામે કોંગ્રેસમાંથી એભાભાઇ કરમૂરને ટિકીટ આપવામાં આવી છે.
આ કારણે ખંભાળિયા બેઠક હવે ભાજપ વિરુધ્ધ કોંગ્રેસને બદલે કોંગ્રેસ વિરુધ્ધ કોંગ્રેસની સ્થિતિ વધારે બની ગઇ છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સાંસદ વિક્રમ માડમ માટે પણ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે કે તેમણે ભાજપી ઉમેદવાર માટે પ્રચાર કરવાનો વારો આવ્યો છે.
આહિર સમુદાયનું વર્ચસ્વ ધરાવતી જામનગર જિલ્લાની ખંભાળિયા બેઠક અઢી દાયકાથી માડમ પરિવારની પરંપરાગત બેઠક મનાતી રહી છે. આહિરો મતદારોની બહુમતી ધરાવતી આ બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ, કોંગ્રેસના એભાભાઈ આહિર અને વસ્તીના અનુપાતમાં બીજો ક્રમ ધરાવતી સથવારા જ્ઞાતિને ઘ્યાનમાં રાખીને જીપીપીએ લાલજી નકુમને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
મહત્વની બાબત એ છે કે સીટિંગ એમએલએ મેઘજી કણઝારીયાની ટિકીટ કપાઈ તેથી પણ એક જૂથમાં ઘૂંધવાટ તો ઉભો થયો જ છે. વળી, ટિકીટના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમને ટિકીટ નહીં મળવાથી કોંગ્રેસનું મોટું જૂથ નારાજ થયું હતું. જેના કારણે તાલુકા કોંગ્રેસ- યુવા કોંગ્રેસના આગેવાન સહિત પાંચ વ્યક્તિઓએ રાજીનામા પણ સોંપી દીધા હતા.
પૂનમ માડમ પહેલી વાર ઇલેક્શન લડવાના છે. ખંભાળિયામાંથી લડી રહેલા કૉન્ગ્રેસના ઉમેદવાર એભાભાઈ કરમુરની પણ આ પ્રથમ ચૂંટણી લડાઇ છે. આ બેઠક પર જીપીપીના ઉમેદવાર લાલજીભાઈ નકુમ માટે પણ ચૂંટણી લડવાનો પ્રથમ અનુભવ છે. ત્રણેત્રણ નવા ઉમેદવાર ધરાવતી આ બેઠક પૂનમ માડમ માટે આમ તો ઘર જેવી છે. આ બેઠક પરથી તેના પપ્પા હેમંત માડમ અગાઉ ચાર વખત અપક્ષ વિધાનસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે 2002 અને 2007માં આ બેઠક બીજેપીને મળી હતી.
નવા સીમાંકનને કારણે આહિર જ્ઞાતિનું વર્ચસ્વ વધી જતાં ગયું છે. ખંભાળિયા બેઠકના કુલ 2,30,716 મતદારો માંથી 53,790 આહિર મત છે તો લગભગ એટલા જ મત સવર્ણના છે. છેલ્લી છ વિધાનસભા દરમ્યાન ખંભાળિયામાં આહિર જ્ઞાતિએ 100 ટકા મતદાન કર્યું હતું.