ખજલૈયાં : કોષ્ટી સમાજનો એવો મેળો કે જ્યાં લગ્નનું Setting થાય છે...
અમદાવાદ, 5 ઑગસ્ટ : ખજલૈયાં... આ શબ્દ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યો હશે, કારણ કે આ માત્ર કોઈ શબ્દ નથી, પણ એક સમાજ વિશેષનો ખાસ મેળો છે. અમદાવાદમાં કોષ્ટી સમાજનો ખજલૈયાંનો મેળો દર વર્ષે રક્ષા બંધનના બીજા દિવસે કાંકરિયા તળાવના આરે યોજાય છે અને તેમાં સમાજના લગ્નવાંછુ યુવક-યુવતીઓ મોટાપાયે ઉમટી પડે છે.
આપણા દેશમાં અનેક એવા લોક મેળાઓ કે સાંસ્કૃતિક મેળાઓ છે કે જેનો ઉદ્દેશ લોકરંજન ઉપરાંત લગ્નલાયક થઈ ગયેલ યુવક-યુવતીઓની પરસ્પર પસંદગી કરવાનો રહેતો હોય છે. કોષ્ટી સમાજ દ્વારા ઉજવાતો ખજલૈયાંનો મેળો પણ કંઈક આવા જ ઉદ્દેશ સાથે યોજાતો આવ્યો છે. જોકે મેળાના મૂળમાં જઇએ, તો ખજલૈયાં પ્રસંગે સમાજના લોકો મેળામાં ઉમટે છે અને એક-બીજાના કાને ખજલૈયાં (દૂબા) ભરાવી આશીર્વાદ-શુભેચ્છાની આપ-લે કરે છે, પરંતુ જ્યાં સમાજના લોકોનો મેળાવળો જામ્યો હોય, ત્યાં લગ્નલાયક યુવક-યુવતીઓ પણ એક-બીજાના સાથીની શોધે પહોંચી જ જતા હોય છે અને તેમના વાલીઓ પણ આવી પ્રક્રિય માટે જ મેળામાં પહોંચતા હોય છે.
ચાલો તસવીરો સાથે જાણીએ કોષ્ટી સમાજ અમદાવાદ અને ચૅરિટેબલ ટ્રસ્ટના વિગતવાર કાર્યક્રમોની માહિતી :

કાંકરિયા ખાતે નહીં યોજાય
કોષ્ટી સમાજ અમદાવાદ દ્વારા દર વર્ષે રક્ષા બંધનના બીજા દિવસે ઉજવાતો ખજલૈયાંનો કાર્યક્રમ સામાન્ય રીતે કાંકરિયા ખાતે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે રક્ષા બંધન રવિવારે આવતા ખજલૈયાંની ઉજવણી સોમવારના દિવસે આવશે અને તે દિવસે કાંકરિયા સંકુલે સાપ્તાહિક રજા હોય છે. તેથી આ વખતનો ખજલૈયાંનો કાર્યક્રમ કાંકરિયા ખાતે નહીં યોજાય.

રિવરફ્રંટ પર આયોજન
કોષ્ટી સમાજ અમદાવાદ તથા ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કોષ્ટીના જણાવ્યા મુજબ આ વર્ષે એટલે કે 11મી ઑગસ્ટની સાંજે શાહીબાગ પોલીસ સ્ટેડિયમ પાસે રિવરફ્રંટમાં આવેલ શ્રી બહુચર માતા મંદિર સંકુલ ખાતે ખજલૈયાંનો કાર્યક્રમ ઉજજવવામાં આવશે અને આ વ્યવસ્થા શ્રીમતી તુલસાબેન વસંતલાલ છોટાલાલ કોષ્ટી (ટ્રેડિશનલ) તરફથી રાખવામાં આવેલ છે.

પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
અનિલભાઈ કોષ્ટીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા આ વર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવા માટેનો કાર્યક્રમ 21મી ડિસેમ્બર, 2014 રવિવારના રોજ એલિસબ્રિજ ખાતે આવેલ ટાઉન હૉલમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ધો. 7થી 12 તથા તે પછીના ડિપ્લોમા-ડિગ્રી પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સંબંધિત વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ સમાજના મણિનગર ખાતે આવેલ કાર્યાલયમાં 7મી ડિસેમ્બર, 2014 સુધીમાં જમા કરાવવાની રહેશે.

સમૂહ લગ્ન કાર્યક્રમ
કોષ્ટી સમાજ, અમદાવાદ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન કાર્યક્રમ પણ યોજાય છે. આ વર્ષનો સમૂહ લગ્ન કાર્યક્રમ 24મી જાન્યુઆરી, 2015 શનિવાર વસંત પંચમીના દિવસે યોજાશે. આ કાર્યક્રમ ઘોડાસ ખાતે સ્મૃતિ મંદિર પરિસરમાં યોજવામાં આવશે. રસ ધરાવતા વાલીઓએ પોતાના સંતાનોના લગ્ન માટેની નોંધણી સમાજના પદાધિકારીઓ સમક્ષ કરાવવાની રહેશે.

મેડિકલ કાર્ડ વિતરણ
કોષ્ટી સમાજ, અમદાવાદે તાજેતરમાં જ શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદના સહકાર દ્વારા સમાજના લોકોને મેડિકલ કાર્ડનું વિતરણ કર્યુ હતું. આ મેડિકલ કાર્ડ વડે સમાજના લોકોને શ્રી કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ-પાલડી ખાતે રાહત દરે તબીબી સારવાર આપવામાં આવશે. તાજેતરમાં જ કોષ્ટી સમાજના મણિનગર ખાતે આવેલ કાર્યાલયે સમાજના લોકોને મેડિકલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

નોટ-ચોપડા વિતરણ
કોષ્ટી સમાજ દ્વારા દર વર્ષે સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને ફુલસ્કેબ ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ સમાજ દ્વારા અનેક વર્ષોથી કરવામાં આવે છે કે જેનો સમાજનો લોકોને બહોળો લાભ મળે છે.

મહિલાઓ પણ સક્રિય
કોષ્ટી સમાજની મહિલાઓ પણ સમાજના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં સક્રિય છે.













Click it and Unblock the Notifications
