L&T 2989 કરોડમાં 4 વર્ષમાં બનાવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગાંધીનગર, 27 ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામનો વર્કઓર્ડર જાણીતી કંપની એલ એન્ડ ટીને આપવામાં આવ્યો છે. નર્મદાના કાંઠે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે વિવિધ કંપનીઓ પાસેથી એસ્ટિમેટ મંગાવવામાં આવ્યું હતું, જેમાં એલ એન્ટ ડીનું એસ્ટીમેટ 2989 કરોડ રૂપિયાનું હતું. જેથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેબિનેટના મંત્રીઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે આ પ્રોજેક્ટનો વર્કઓર્ડર એલ એન્ડ ટીને સોંપ્યો હતો. આ પ્રોજેક્ટનું કામ 31મી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવશે, જેને ચાર વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જોકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આશા વ્યક્ત કરી છેકે આ પ્રોજેક્ટને સમય અવધિ કરતા વહેલો પૂર્ણ કરવામાં આવશે.
સચિવાલય ખાતે મળેલી બેઠકમાં સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ અને એલ એન્ડ ટીના અધિકારીઓ વચ્ચે આ કરાર અંગે આપલે થઇ હતી. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતા આ પ્રોજેક્ટને નિશ્ચિત સમય અવધિ કરતા પહેલો પૂર્ણ કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નના કારણે આ પ્રોજેક્ટની પરિકલ્પના શક્ય બની છે. જેથી અમે તેમના પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છેકે, 9 જુલાઇના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને જાળવણી માટેની ટેન્ડર બિડ ખોલવામાં આવી હતી. દેશની એન્જીનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની એલ એન્ડ ટીને આ માટેનો કોન્ટ્રાક્ટ મળી શકે એમ છે. કારણ કે રૂપિયા 2,063 કરોડના અંદાજિત પ્રોજેક્ટ સામે એલ એન્ડ ટીએ રૂપિયા 2,980 કરોડની સૌથી ઓછી બોલી બોલી હતી. જ્યારે ટેન્ડર ભરનાર અન્ય કંપનીએ રૂપિયા 4100 કરોડની બીડ રજૂ કરી હતી. તેથી લાગી રહ્યું હતું કે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટીને મળી શકે છે.