ગુજરાત વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, કોંગ્રેસે કરી કાર્યવાહી માંગ
Gujarat Lok Sabha Elections 2024: કોંગ્રેસે શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે તેમના પર ભાજપ માટે મત માંગવાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે તેમણે આદર્શ આચાર સંહિતા અને સંસદીય પરંપરાઓનું ઉલ્લંઘન કર્યું છે.
કોંગ્રેસનો દાવો છે કે બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર કરી શકે નહીં. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીના જણાવ્યા અનુસાર, પાર્ટીએ 11 એપ્રિલે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં સ્પીકર શંકર ચૌધરી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના પ્રવક્તાનો દાવો છે કે શંકર ચૌધરીએ બનાસકાંઠાથી ભાજપના લોકસભા ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં સભાનું આયોજન કર્યું હતું, આ માટે તેમણેે કેટલાક વીડિયો પણ ટાંક્યા છે.
દોશીએ મુખ્ય ચૂંટણી કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 'શ્રી શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના સ્પીકર છે અને તેમને કોઈ રાજકીય પક્ષ કે કોઈ ઉમેદવાર માટે પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી.' કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે, 'જે દિવસથી તેમની ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી તેઓ કોઈ રાજકીય પક્ષના સભ્ય નથી રહ્યા.'
તેમણે કહ્યું કે 'સંસદીય પરંપરાઓ અને પ્રક્રિયાઓ ભાગ-1'માં પ્રકરણ 9 ના પેરા 2માં કહેવામાં આવ્યું છે, 'જે ક્ષણે કોઈ વ્યક્તિ સ્પીકર બને છે, તે ક્ષણે તે પોતાની જાતને રાજકીય પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે અલગ કરી દે છે અને તે કોઈપણ રાજકીય પક્ષનો સભ્ય રહેતો નથી.'
તેમણે તેમની ફરિયાદમાં જે કહ્યું છે તે મુજબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કથિત રીતે આ સંસદીય પરંપરા અને કાર્યવાહીનો ભંગ કર્યો છે, તેથી તેમને 2024ની સંસદીય ચૂંટણી માટે કોઈપણ રાજકીય પ્રચાર કરતા રોકવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવે.
કોંગ્રેસના દાવાના જવાબમાં ગુજરાત ભાજપના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે આ ફરિયાદ પર શું પગલાં લે છે તે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને આ તમામ બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. (ઈનપુટ-પીટીઆઈ)












Click it and Unblock the Notifications
