મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાને લઈને મોટા ખૂલાસા, દુર્ઘટનાના દિવસે અધધ આટલી ટિકિટ કપાઈ હતી.
135થી વધુ લોકોના જીવ ભરખી જનારી મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં કેટલાક મોટા ખુલાસા થયા છે. સામે આવી રહેલા તથ્યો મોટેથી પોકારી રહ્યા છે કે, સમારકામ અને વ્યવસ્થામાં મોટી બેદરકારી દાખવવામાં આવી હતી.
મોરબી : 135થી વધુ લોકોના જીવ ભરખી જનારી મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં કેટલાક મોટા ખુલાસા થયા છે. સામે આવી રહેલા તથ્યો મોટેથી પોકારી રહ્યા છે કે, સમારકામ અને વ્યવસ્થામાં મોટી બેદરકારી દાખવવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, તપાસમાં સામે આવેલા તથ્યો ઓરેવા કંપની અને નગરપાલિકા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં કાટ લાગેલા કેબલ, રિપેર ન કરાયેલ એન્કર, લૂઝ બોલ્ટ અને અપ્રશિક્ષિત મજુરોને લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ મોટા ખુલાસા કર્યા છે.
સામે આવેલા એફએસએલના રિપોર્ટમાં જણાવાયુ છે કે, નવા મેટલ ફ્લોરથી પૂલનું વજન વધી ગયુ હતુ. આ સિવાય સમારકામ કરનાર બંને કોન્ટ્રાક્ટરો પણ આવા સમારકામ અને નવીનીકરણના કામો કરવા માટે લાયક નહોતા. આ કેસમાં પોલીસ અત્યારસુધીમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારી સહિત 9 લોકોની ધરપકડ કરી ચુકી છે.
ફરિયાદ પક્ષે આરોપીઓની જામીન અરજી બાબતે સૂનાવણી દરમિયાન કોર્ટમાં આ રિપોર્ટ રજુ કર્યા હતા. આ બાબતે સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું કે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જે કેબલ પર આખો બ્રિજ લટકેલો હતો તેના પર કાટ લાગી ગયો હતો. કેબલને જમીન સાથે જોડતી એન્કર પિન તૂટી ગઈ હતી. આ સિવાય એન્કર પરના બોલ્ટ ત્રણ ઈંચ ઢીલા હતા. આ મામલે બુધવારે કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.
વધુ વિગતો આપતા સરકારી વકિલ વિજય જાનીએ જણાવ્યું કે, 30 ઓક્ટોબરે 3,165 ટિકિટ વેચાઈ હતી અને બ્રિજની બંને બાજુની ટિકિટ બુકિંગ ઓફિસો વચ્ચે કોઈ સંકલન નહોતું. તેમણે કહ્યું કે, જે બુકિંગ ક્લાર્કની ધરપકડ કરવામાં આવી હતી તેણે ટિકિટ વેચવાનું બંધ કરી દેવું જોઈતું હતું પરંતુ તેણે ટિકિટ વેચવાનું ચાલુ રાખ્યું અને વધુ લોકોને પુલ પર જવા દીધા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, દેવ પ્રકાશ સોલ્યુશન્સે સ્વીકાર્યું છે કે તેણે માત્ર ફ્લોર બદલ્યો છે. FSL રિપોર્ટ મુજબ, નવા મેટલ ફ્લોરથી બ્રિજનું વજન વધી ગયું. સમારકામના બંને કોન્ટ્રાક્ટર કામ કરવા માટે યોગ્ય ન હતા. એફઆઈઆર મુજબ, કેબલ તૂટ્યા બાદ પુલ તૂટી પડ્યો ત્યારે ઓછામાં ઓછા 250 થી 300 લોકો હાજર હતા. અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે ઓરેવા ગ્રૂપે તેને જાહેર જનતા માટે ખોલતા પહેલા પુલની લોડ-બેરિંગ ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે કોઈ નિષ્ણાત એજન્સીને હાયર કરી નહોતી.
આ રિપોર્ટમાં એ વાત પણ કરવામાં આવી છે કે, બ્રિજના સેફ્ટી પ્રોટોકોલ વિશે કોઈ માહિતી નહોતી અપાઈ. વિજય જાનીએ કહ્યું કે, ઓરેવા સુરક્ષા માટે જવાબદાર છે, તેઓએ અકસ્માતના કિસ્સામાં લોકોને બચાવવા માટે કોઈ લાઈફગાર્ડ કે બોટ પણ રાખી ન હતી.