વિઠ્ઠલ રાદડિયા વૃદ્ધને ગડદાપાટુનો માર મારતા હોવાનો વીડિયો વાઇરલ
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.
ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
સાંસદ વિઠ્ઠલ રાદડિયા વૃદ્ધને ગડદાપાટુનો માર મારતા હોવાનો વીડિયો વાઇરલ
રાજકોટ જિલ્લાના જામકંડોરણાની ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળામાં તારીખ 14 માર્ચથી 20 માર્ચ દરમિયાન યોજાયેલી ભાગવત સપ્તાહમાં પોરબંદર સાસંદ એક વૃદ્ધને લાતો મારી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વાયરલ થયેલી વીડિયોમાં જોવા મળ્યું છે કે કથા દરમિયાન એક વૃધ્ધ ધૂણવા લાગ્યો હતો. તે દરમિયાન સાંસદ રાદડિયા અચાનક સ્ટેજ પરથી નીચે ઉતરીને ધૂણી રહેલા વૃદ્ધને લાતો મારી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં આ ઘટનાએ ચર્ચા જગાવી હતી. જોકે એ તેમના પુત્ર અને રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયાએ આવી કોઈ ઘટના બની હોવાનો ઈનકાર કર્યો હતો.
સુરતની લાજપોર જેલમાંથી હાર્દિકે લખ્યો વધુ એક પત્ર
રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલનો વધુ એક પત્ર આવ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવીને, પાટીદારોના આંદોલનમાં સામેલ ન થવાની તાકિદ કરી છે. સાથે જ પોતાને રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોવાનું પણ જણાવ્યું હતું. આંદોલનના નામે રાજકારણ કરતાં લોકોને વર્ષ 2017માં બતાવી દઇશું તેવી ચીમકી પણ હાર્દિકે ઉચ્ચારી છે.
અમદાવાદમાં બાળકના આપઘાત બાદ ગોમતીપુર પોલીસ સામે નોંધાઈ એફઆઈઆર
અમદાવાદના ગોમતીપુરમાં રહેતા હોમગાર્ડના જવાન ભરતભાઈ પરમારના દીકરા ધ્રુવ પરમારે શનિવારે ઘરમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોલીસે પીસીઆર વેનમાં બેસાડી લાફા માર્યા હતા. અને આ બાબતનું ધ્રુવને માઠુ લાગી ગયું હતું. આથી તેણે આપઘાત કરી લેતા વિસ્તારમાં તંગદિલી છવાઈ હતી. કિશોરના પરિવાર અને સ્થાનિકોએ ધ્રુવની લાશ રસ્તા પર મૂકીને પોલીસકર્મીઓ સામે ગુનો દાકલ કરવા હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ અજાણ્યા પોલીસ કર્મચારીઓ સામે 305 અને 306 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોમતીપુરમાં આ બનાવને પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ છે.
અમરેલીના લીલિયાના જંગલોમાં આગથી વનરાજ મુશ્કેલીમાં
ગરમીના દિવસોની હજી શરૂઆત છે પરંતુ અતિશય ગરમીના કારણે અમરેલીના લીલીયાના ગીરના જંગલમાં બાવળિયા વચ્ચે આગ ભભૂકી ઉઠી હતી. જેની ઉપર સતત ફાયર ફાઇટર દ્વારા પાણી છાંટવાની કામગીરી ચાલું છે તેમ છતાં બૃહદ વિસ્તારમાં ફેલાયેલી આગ ઠંડી પડી નથી. ઉલ્લેખનીય છેકે લીલિયા, ક્રાંકચ, ધારી જેવી વિસ્તારો ગીરના સિંહનું નિવાસ સ્થાન સમા છે. આ આગના કારણે વન્યજીવોની મુશ્કેલી વધી છે.
સમગ્ર સૌરાષ્ટ્રના સોનીઓની આજે રાજકોટમાં મહા બાઇક રેલી
સોનીઓની કેન્દ્ર સામેની લડાઇના ત્રીસમા દિવસે સૌરાષ્ટ્રના સુવર્ણકારોની રાજકોટ ખાતે મહાસભાનું આયોજન કરાયું છે. જોકે તે પહેલા આજે બાઇક રેલી પણ આયોજિત કરવામાં આવી હતી તેમજ રવિવારે સાંજે રેસકોર્સ ખાતે કેન્ડલ માર્ચ પણ આયોજીત કરવામાં આવી હતી. તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી મિટિંગમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ઝવેરીઓના સંગઠનોએ સંપૂર્ણ એક્સાઇઝ ડ્યૂટી હટાવવાની માંગ સાથે સરકાર સામેની લડતને ચાલુ રાખવાનું નક્કી કર્યુ હતું.
ગુજરાત સરકારે મધ્યાહન ભોજનમાં કર્યો રૂપિયા 104 કરોડનો ઘટાડો
વિવિધ મહોત્સવમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરતી ગુજરાતની ભાજપ સરકારે મધ્યાહન ભોજનમાં રૂપિયા 104 કરોડનો ઘટાડો સૂચવ્યો છે.ગરીબ વિદ્યાર્થીઓમાં પોષણનું સ્તર સુધરે, અધવચ્ચે શાળા છોડી જનારાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવા હેતુસર શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-15માં મધ્યાહન ભોજન પાછળ રૂ. 716.76 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2015-16માં મધ્યાહન ભોજન માટે રૂ. 612.10 કરોડની જોગવાઈ કરી છે. તેમાં વર્ષ 2014-15ની સરખામણીમાં રૂ. 104 કરોડ ઓછા ફાળવવામાં આવ્યા છે.
ભૂજમાં ક્રિકેટ સટ્ટો રમતા લોકોને ઝડપી પોલીસે 6.50 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
ક્રિકેટની સિઝન પૂરજોરમાં જામી છે તેની સાથે સાથે ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાએ પણ માઝા મૂકી છે .ભૂજના માધાપર ખાતે ભૂજ બી-ડિવિઝન પોલીસે ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર દિપેન્દ્ર જશવંત મહેતા દ્વારા ચલાવાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી રોકડા 6,52,610 રૂપિયા 26 મોબાઇલ ફોન, 3 લેપટોપ, 1 એલ.ઇ.ડી. ટી.વી., 1 કેલ્ક્યુલેટર સહિતની વસ્તુઓ કબજે કરી હતી . આ સટોડિયાઓમાં ભુજ તાલુકા પંચાયતન ઉપપ્રમુખના સંબંધી બનેવી સહિત 10 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
ભાવનગરમાં પરિણીતાની અર્ધબળેલી લાશ મળી આવતા અરેરાટી
ભાવનગરના તરેડ ગામે એક પરિણીતાનો બળેલો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કેતલુબહેન રાઠોડ નામની આ ભરવાડો કોમની મહિલાની લાશ છે. જેના લગ્નને ફક્ત 2 વર્ષ જ થયા છે.કપાસની સાઠીઓમાં લાગેલી આગમાં આ પરણીતા બળી ને ભડથું થઇ ગઈ હતી. જોકે હાલમાં એ અટકળો ચાલી રહી છે કે આગ લાગવાને કારણે જો પરિણીતાએ બૂમો પાડી તો કોઈએ સાંભળી કેમ નહીં અનેશું તેની હત્યા કરવામાં આવી છે.ત્યારે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
13 લાખની નવી નકોર બાઇકનો એસયૂવીની ટક્કરથી થયો કચ્ચરઘાણ
અમદાવાદના એસ.જી. હાઇવે ખાતે શફિલ સિરાજઅલી નામના વ્યક્તિની બાઇક રવિવારે સાંજે મહિન્દ્રા એસયુવી સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને બાઇક સવાર ઉછળીને રસ્તા ઉપર પટકાયો હતો. બાઇક લઇને નીકળેવા યુવકની બાઇકના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. તેમજ યુવકને પણ ગંભીર ઇજાઓ સાથે 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો તેની નંબર પ્લેટ પણ આવી નહોતી. પોલીસએ તપાસ કરી રહી છે કે આ અકસ્માતમાં કોનો વાંક હતો. નોંધનીય છે કે મહિન્દ્રા એસયૂવીનો ચાલક હાલ ફરાર છે. પોલીસ તેના ગાડી નંબર જીજે01આરએમ0545આધારે ગાડીચાલકની તપાસ કરી રહી છે.