સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં મનરેગા યોજના હેઠળ લાખોનુ કૌભાંડ આવ્યુ બહાર
સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકામાં મનરેગા યોજના હેઠળ લાખોનુ કૌભાંડ થયુ હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.
સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકામાં મનરેગા યોજના હેઠળ લાખોનુ કૌભાંડ થયુ હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. મનરેગા યોજના ગામડાઓમાં રહેતા બેરોજગાર લોકોને રોજગારી મળી રહે તે હેતુથી ચાલુ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ જરુરિયાતમંદ લોકો કરતા કોઈ બીજા જ લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. એક ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે તે ક્યારેય નોકરી પર નથી ગયો, ક્યાંય સહી નથી કરી તેમછતાં તેના ખાતામાં રકમ જમા થઈને બારોબાર ઉપડી જાય છે. મૂળીના રાયસંગપરમાં 300થી 400 બોગસ જૉબ કાર્ડ બનાવી લાખોની ઠગાઈ થઈ હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને ખેડૂત એકતા મંચના આગેવાનોએ આ કથિત કૌભાંડની રજૂઆત કરી જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદન પાઠવ્યુ હતુ. મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કૌભાંડમાં અનેક સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સરપંચો અને તલાટીઓ જૉબ કાર્ડધારકોનુ શોષણ કરી કૌભાંડ આચરી રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ખેડૂત એકતા મંચના આગેવાનો જ્યારે કલેક્ટરને રજૂઆત કરવા ગયા ત્યારે કલેક્ટરે ખેડૂતોને મળવાનો સમય પણ ન આપ્યો. તેમછતાં ખેડૂતો કલેક્ટરને મળવા માટે બહાર ઉભા રહ્યા છતાં કલેક્ટરશ્રી ખેડૂતોને મળ્યા વિના જવા લાગ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને રસ્તામાં જ ઉભા રાખીને આવેદન આપ્યુ ત્યારે તેમણે ખૂબ ઠંડો પ્રતિસાદ આપ્યો હતો.
ખેડૂત આગેવાને જણાવ્યુ હતુ કે, 'મૃત વ્યક્તિઓના નામ મનરેગાની નોંધણીમાં છે. અમુક વ્યક્તિઓના આંગણવાડી અને મનરેગા બંને જગ્યાએ નામ ચાલે છે. આ બધુ અધિકારીઓની મીલિભગત છે. આ બહુ મોટુ કૌભાંડ છે. ખેડૂતો સ્વ ખર્ચે છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરીને સમગ્ર કૌભાંડ પ્રકાશમાં લાવ્યા. અમારી નવનિયુક્ત કલેક્ટરશ્રી પાસેથી આશા છે કે જે કોઈ આ કૌભાંડમાં ગુનેગાર હોય તેને છોડવામાં ન આવે તેમજ તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકામાં અણિયાળી ગામે ખેતતલાવડી કાગળ પર બનાવવામાં આવી અને લાખો રૂપિયાનુ કૌભાંડ આચરવામાં આવ્યુ. ગામના સરપંચ, તલાટી અને ટીડીઓએ 13 વર્ષની બાળકીને ત્રીસ વર્ષની બતાવી તેનુ જૉબ કાર્ડ બનાવી ઠગાઈ કરી.'
ચોટીલામાં જાન્યુઆરી 2021માં મૃત્યુ પામેલ વ્યક્તિનુ ફેબ્રુઆરી મહિનામાં જૉબ કાર્ડ બનાવી રોજગારી આપી હોવાનુ સામે આવ્યુ છે. આશા વર્કરનુ પણ જૉબ કાર્ડ સામે આવ્યુ. વળી, ગામના સરપંચના પરિવારના તમામ લોકો પણ જૉબ કાર્ડ ધરાવતા હોવાનુ સામે આવ્યુ. ખેડૂતોનુ માનવુ છે કે મોટા અધિકારીઓ અને મોટા માથા આ કૌભાંડ કરાવી રહ્યા છે. જૉબ કાર્ડધારકોની અજ્ઞાનતાનો લાભ લઈને કાર્ડ ધારકોને 500થી 1000 રૂપિયાની ચૂકવણી કરીને મોટા માથાઓ મલાઈ ખાઈ રહ્યા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. ગઢડામાં મનરેગાની આડમાં ખનીજચોરીનુ મોટુ કૌભાંડ થઈ રહ્યુ છે. કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે એ પૂરી તપાસ બાદ જ જાણી શકાશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો દરેક ગામમાં મનરેગાનુ આ કૌભાંડ બહાર આવશે.