મોદીએ રાહુલને કહ્યું "જોતા જાવ ગુજરાતમાં ભાજપનું તોફાન આવી રહ્યું છે"

નરેન્દ્ર મોદીએ પોતાની સભામાં જણાવ્યું કે રાહુલબાબા તમે પાલનપુરથી નીકળતા સમયે જોતા જાવ કે અહીં ભાજપની આંધી આવી રહી છે. 17 ડિસેમ્બરે આપ મતદાન કરવાના છો. ગુજરાતના અડધા ભાગમાં મતદાન ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે છેલ્લા મળ્યા એ સમાચાર પ્રમાણે જ્યાં જ્યાં મતદાન થઇ રહ્યું છે ત્યાં ભૂતકાળના તમામ રેકોર્ડ બ્રેક કરતું મતદાન થઇ રહ્યું છે. અભૂતપૂર્વ મતદાન બતાવે છે કે આ ચૂંટણી ભાજપ નથી લડતું, આ ચૂંટણી જયનારાયણ વ્યાસ નથી લડતા, આ ચૂંટણી ભાજપના ઉમેદવારો નથી લડતા. આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે.
આપ કોઇ દિવસ યાત્રાએ જવાના હોવ, 15 દિવસ યાત્રાએ જવાના હોવ તો ઘરની ચાવી અજાણ્યાને આપીને જાવ? નાને. તો આવડું મોટું ગુજરાત કોઇ અજાણ્યાને અપાય? હું તો જાણીતો છું, ગુજરાતની ધરતીનું ધાવણ પીને મોટો થયો છું. આ ઉત્તર ગુજરાતમાં જન્મ્યો છું. હું તમારા માટે અને તમે મારા માટે જાણીતા છો.
મને તમારી તકલીફો ખ્યાલ છે અને એટલે જ તમારા માટે કયો રસ્તો યોગ્ય છે તેનો મને ખ્યાલ છે. તમારા ઘરમાં ટીવી ચાલું કરો અને ટાબરિયા બાજુના રૂમમાં રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ આવે તો મોદી આયા... મોદી આયા કહીને બહાર આવે છે કે નહીં? મારે ગુજરાતના એક એક માણસ માટે કામ કરવાનું છે.
અહીં સિધ્ધપુરમાં મેડમ સોનિયાજી આવ્યા હતા. મને આશ્ચર્ય થયું કે કોંગ્રેસે આ વખતે સોનિયા મેડમનો પ્રવાસ એવા ગામમાં ગોઠવ્યો જ્યાં અબજપતિ ઉમેદવાર હોય. કોઇ ગરીબ ઉમેદવારના ગામમાં તેઓ ના ગયા. જે પાર્ટી માટે પૈસા લાવી શકે તેવી બેઠકોમાં ગયા. કોંગ્રેસના મિત્રો સિધ્ધપુર લાવ્યા અને ડાકોર લઇ ગયા. મેં કહ્યું કે કોંગ્રેસના પાપ એટલા બધા છે કે કોઇ કારણે ધોવાના નથી.
રાહુલબાબા પાલનપુર આવ્યા હતા. ગઇ વખતે જે ભાષણ લખી લાવ્યા હતા તે જ વાંચીને ગયા છે. તે એમ કહેતા હતા કે ગુજરાતમાં જ્યાં ત્યાં એક જ માણસનું નામ સાંભળવા મળે છે. એમને તકલીફ થાય એ સ્વાભાવિક છે. કારણ કે આજ સુધી આ દેશમાં નહેરૂ પરિવારનું નામ બોલાતું ન હતું. એ સિવાય કોઇનું નામ સંભળાય તો આખી કોંગ્રેસપાર્ટી ઉંચી-નીચી થઇ જાય છે
એમને ફાળ પડી છે કે ગુજરાતમાં લોકો એક જ માણસનું નામ શા માટે બોલે છે. રાહુલ ગાંધી મારા બાપા વડાપ્રધાન કે ગામના સરપંચ સુધ્ધાં ન હતાં. આ તો ગુજરાતની જનતાનો દિલનો અવાજ છે. આ કોંગ્રેસના નેતાઓ આવીને કહી જાય છે કે ગુજરાતમાં વીજળી - પાણી નથી. તમે કહો કોંગ્રેસના રાજમાં વાળું કરતી વખતે વીજળી આવતી હતી?, છોકરાઓને વાંચવું હોય તો રાત્રે લાઇટ ચાલુ થતી હતી? ઘરમાં નવી વહુને ટીવી જોવું હોય તો લાઇટ મળતી હતી? આજે તમને બધું જ મળે છે. આજે ગુજરાતમાં ગરીબમાં ગરીબને પણ જનરેટરની જરૂર પડતી નથી. સોનિયાબેન તમે દેશની જનતાને ઇમાનદારીથી જવાબ આપો કે દિલ્હીમાં તમારા ઘરમાં 24 કલાક વીજળી આવે છે? વડાપ્રધાન તમારા ઘરમાં 24 કલાક વીજળી આવે છે? એમના ઘરમાં જનરેટરથી લાઇટ આવે છે.
આ કાકોશીમાં ખેડૂતોના ખેતરમાં પાણી જોઇએ કે ના જોઇએ? કોંગ્રેસવાળાને કહેવા માંગું છું કે 40 વર્ષમાં તમે કાકોશીનું નામ પણ કાગળ પર લખ્યું હતું. હું કાકોશીમાં ખેતરો લીલીછમ બને તેવું કરીશ.
રાહુલબાબાએ કહ્યું કે અહીં ક્લોરાઇડવાળું પાણી મળે છે. તમને વિજ્ઞાનનું જ્ઞાન નથી અને ભૂગોળનું જ્ઞાન નથી. તમારા રાજમાં લોકો 55 વર્ષમાં ઘરડાં થઇ જતાં હતાં. અમે પાણી આપ્યું એના કારણે પાણીના તળ ઊંચા આવ્યા. આ કારણે ભૂતકાળમાં ખારાશવાળું પાણી પીવું પડતું હતું તેના બદલે પીવાનું ગણે તેવું પાણી મળી છે.
રાહુલબાબા તમને મેં કહ્યું કે લેસન કરીને આવજો. હું રૂબરૂમાં જવાબ આપું છું કે 1998માં અટલજીની સરકાર હતી ત્યારે ક્લોરાઇડવાળું પાણી અંગે સંશોધન કરવા માટે રિસર્ચ સેન્ટર સ્થાપવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. પણ મનમોહનસિંહના આવ્યા બાદ તે પ્રોજેક્ટને તાળાં મારી દીધાં.
મોદીએ પ્રધાનમંત્રીને લખેલો પત્ર વાંચવા અને મોદીને સાંભળવા અહીં ક્લિક કરો
સોનિયાજી, મનમોહનસિંહ અને રાહુલે આવીને કીધું કે ગુજરાતમાં લોકો બેકાર છે. આ ગપ્પું કોઇના ગળે ઉતરે છે? રાહુલબાબા તમારે અહીં આવીને આવું બોલતા પહેલાં તમારી કેન્દ્ર સરકારનો રિપોર્ટ વાંચીને આવવું હતું. અહીં ઓછામાં ઓછી બેરોજગારી છે. હિન્દુસ્તાનમાં જે રોજગાર મળ્યા તેમાંથી 72 ટકા રોજગાર ગુજરાતે જ્યારે બાકીના 28 ટકા હિન્દુસ્તાનના અન્ય રાજ્યોએ આપ્યો છે.
વર્ષ 2009માં કોંગ્રેસે 100 દિવસમાં બેરોજગારી, મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. તે પૂરું થયું ? મેં તમને કીધું હોય કે હું સિધ્ધપુરમાં આ કામ કરીશ, અને કોઇ કારણથી કામ ના થાય તો મારે તમારી માફી માંગી માથું ઝુકાવવું જોઇએ કે નહીં? મેડમ તમે સિદ્ધપુર આવ્યા હતા તો બે શબ્દો મોંઘવારી અંગે બોલવા હતા!
આજે સિદ્ધપુરમાં અગત્યની વાત કરવી છે. આપની ક્ષમા સાથે હું એ વાત હિન્દીમાં કહીશ કારણ કે દેશ આખાનું મીડિયા અહીં મોજુદ છે. હિન્દીમાં એટલે બોલીશ કે વડાપ્રધાનને મારી વાત પહોંચે.
ગઇકાલે મેં વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી. એક ખૂબ ગંભીર સમસ્યા અંગે ચિઠ્ઠી લખી હતી. ભારત સરકાર જનતાને અંધારામાં રાખી પાકિસ્તાન સાથે સમજુતી કરવા જઇ રહી છે. જેનાથી હિન્દુસ્તાનની સુરક્ષાની સાથે ગુજરાત એક મોટા સંકટમાં જઇને પડે એમ છે. આ કારણે ગુજરાતનો અવાજ પહોંચાડવા વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી.
આપણને ખબર છે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકે યુદ્ધનો પ્રારંભ ગુજરાતની સીમામાંથી કર્યો હતો. એ સીમા હતી સર ક્રીકની. ત્યાંથી પાકીસ્તાને હિન્દુસ્તાન પર હુમલો કર્યો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા શહિદ થયા હતા. દિલ્હીમાં બેસેલી કોંગ્રેસની સરકાર પડદા પાછળ ચાલ ચાલી રહી છે અને દેશની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સમજોતો કરી રહી છે. આ વાતની મને જ્યારે ખબર પડી ત્યારે મે એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમને માહિતગાર કર્યા હતા કે, જો તમે સર ક્રીકના સંબંધમાં પાક સાથે સમજોતો કરશો તો મારું હિન્દુસ્તાન અસુરક્ષિત થઇ જશે, ગુજરાત તબાહ થઇ જશે. કૃપા કરીને આવી ભૂલના કરતા. આજે મહેસાણાની સભા થકી આખા દેશને હું મારા ગુજરાતની પીડા બતાવવા માંગુ છું.












Click it and Unblock the Notifications
